ચૂંટણીપ્રચારમાં નેતાઓની આક્રમકતા વચ્ચે ઉમા ભારતીનો પ્રવેશ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં જેમ-જેમ ચૂંટણીપ્રચાર તેજ થઈ રહ્યો છે, તેમ-તેમ નેતાઓમાં આક્રમકતા પણ વધી રહી છે. રાજકારણના ધરંધરો હાલના સમયે જનતાને પોતાની તરફ ખેંચવા બધા પ્રકારના દાવપેચ અજમાવી રહ્યા છે. હવે મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમા ભારતીએ હિમાલયનો પ્રવાસ રદ કરીને મધ્ય પ્રદેશમાં ચૂંટણીપ્રચાર કરવા માટે તૈયાર થયાં છે.

તેમણે આવતાની સાથે તીર્થ દર્શન યોજના પર કેજરીવાલના દાવાને ખોટો ગણાવ્યો હતો. તેઓ સિલવાનીના બમ્હોરી અને સાગરના સુરખીમાં પણ ચૂંટણી સભા યોજશે. જોકે તેમનું નામ ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં નહોતું. એને લઈને તેઓ નારાજ હતાં. જોકે તેમ છતાં તેમણે કહ્યું હતું કે મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમને જ્યાં પણ ચૂંટણીપ્રચાર માટે બોલાવશે, તેઓ ત્યાં જશે.

તીર્થ દર્શન યોજના પર દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના દાવાને ખોટો ગણાવતાં તેમણે સોશિયલ મિડિયા પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે કેજરીવાલજી વધુ તણાવથી અને દબાણથી થાકી ગયા છે. તેમની યાદશક્તિ નબળી થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન તીર્થ દર્શન યોજના સૌથી પહેલાં મધ્ય પ્રદેશમાં મારા મોટા ભાઈ શિવરાજ સિંહ ચૌહાણજીએ શરૂ કરી હતી.બીજી બાજુ, કોંગ્રેસના નેતા કમલ નાથે કહ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચારની કોઈ મર્યાદા નથી. દરેક વર્ગ- યુવા, ખેડૂત અને નાના વેપારી સહિત સૌકોઈ પરેશાન છે, જ્યારે રાયસેનમાં મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લાડલી બહના યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના લોકો રોજ મને ગાળો આપે છે અને તેમણે મારું સોશિયલ મિડિયા પર શ્રાદ્ધ કરી દીધું. મેં તેમને કહ્યું હતું કે ભલે હું મૃત્યુ પામું, પણ રાખમાંથી જીવતો થઈને જનતાની સેવા કરવાના પ્રયાસ કરીશ.