ત્રીજી લહેરનો પ્રકોપઃ 1000થી વધુ ડોક્ટરો સંક્રમિત

નવી દિલ્હીઃ દેશમાં અને વિશ્વમાં કોરોનાના પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કોરોના કાળમાં ડોક્ટર્સ પણ હવે ત્રીજી લહેરની ચપેટમાં આવવા લાગ્યા છે. અત્યાર સુધી 1000થી વધુ ડોક્ટર્સ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ડોક્ટરો સંક્રમિત હોવાના સમાચાર દેશનાં બધાં શહેરોમાંથી આવવા લાગ્યા છે.

મહારાષ્ટ્રમાં 305 ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે. મહારાષ્ટ્ર એસોસિયેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ (MARD)ના જેજે હોસ્પિટલના અધ્યક્ષ ગણેશ સાળુંકેએ કહ્યું હતું કે મધ્ય મુંબઈની સરકારી હોસ્પિટલમાં 73 રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા 72 કલાકમાં કોરોના સંક્રમિત મળ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર કિંગ એડવર્ડ મેમોરિયલ (KEM) હોસ્પિટલમાં 60, લોકમાન્ય તિલક નગર સામાન્ય હોસ્પિટલમાં 80 અને RN  કૂપર હોસ્પિટલના સાત ડોક્ટર પણ કોરોના સંક્રમિત થયા છે.

દિલ્હીમાં પાંચ કોરોના હોસ્પિટલોમાં કમસે કમ 160 જુનિયર ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત પટિયાલાની સરકારી રાજિન્દ્ર હોસ્પિટલ અને મેડિકલ કોલેજના અધિકારીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલથી 80 લોકો કોરોના સંક્રમિત થયા છે. આમાં ડોક્ટર, મેડિકલનું શિક્ષણ કરી રહેલા વિદ્યાર્થીઓ અને મદદનીશ કર્મચારીઓ પણ સામેલ છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 56.5 ટકાના ઉછાળાની સાથે કોરોનાના 90,928  નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 325  લોકોનાં મોત થયાં છે. દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 2630એ પહોંચી છે. ઓમિક્રોનના કેસો 26 રાજ્યોમાં નોંધાયા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 797 નોંધાયા છે અને બીજા ક્રમે દિલ્હીમાં 465 કેસો છે.