પંજાબ, હરિયાણામાં ખેડૂતોના ઉગ્ર દેખાવો પર ટિયર ગેસનો મારો

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણાના ખેડૂતોની MSP અને અન્ય માગોને લઈને દેખાવો જારી છે. હરિયાણામાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર થઈ રહ્યું છે. એના પર હિસાર પોલીસે ખેડૂતો પર ટિયર ગેસના શેલ છોડ્યા છે, જેના જવાબમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ખેડી ચોપટા બોર્ડરે પર એકત્ર થયા હતા.

ખેડૂત આંદોલનને લઈને હજારની સંખ્યામાં ખેડૂતો શંભૂ બોર્ડર પર ઊમટ્યા છે અને દિલ્હી કૂચના પ્રયાસ કરી રહ્યા છે., સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપે. આ સિવાય ખેડૂતોની માગ પર સરકારને વિચાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ અગાઉ હાઈકોર્ટમાં પણ એક અરજી થઈ હતી.

બીજી બાજુસ હરિયાણા અને કેન્દ્ર સરકાર તરફથી દાખલ અરજી પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સરકાર પોતાની જવાબદારી નિભાવવાને બદલે કોર્ટનો ઉપયોગ કરવામાં લાગી છે. તમામ આ મામલે રાજકારણ કરી રહ્યા છે.

પાંચ ખેડૂતોનાં મોત

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતની ઓળખ દર્શન સિંહ તરીકે થઈ છે જેની આશરે ઉમર 62 વર્ષ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક ખેડૂત પંજાબના ભટિંડાના અમરગઢ ગામના રહેવાસી હતા. દર્શન સિંહનો પરિવાર 8 એકર જમીન ધરાવે છે અને હાલમાં તેમના પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું છે. તેણે થોડા દિવસ પહેલા જ પુત્રના લગ્ન કર્યા હતા.

ખેડૂત સંગઠને દર્શન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંગઠને મૃતક ખેડૂતના પરિવારને વળતરની માંગ કરી છે. સંગઠનના જિલ્લા મહાસચિવ રેશમ સિંહે કહ્યું કે, સરકારે ખેડૂતોને સરહદ પર મરતા અટકાવવા તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ.