તામિલનાડુના મંત્રીની PM મોદીને મારી નાખવાની ધમકી

ચેન્નઈઃ તામિલનાડુના મંત્રી ટી.એમ. અનબરસનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે. આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે મેં અત્યાર સુધી એટલા માટે શાંતિ રાખી છે કારણ કે, હું એક મંત્રી છું. જો હું મંત્રી ન હોત તો PM મોદીના ટુકડા કરી નાખત.

તેમનું આ નિવેદન ગયા અઠવાડિયાનું છે. અનબરસન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના એક વકીલે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ટી.એમ. અનબરસન તમિલનાડુમાં એમકે સ્ટાલિનની આગેવાની હેઠળની DMK-કોંગ્રેસ ગઠબંધન સરકારમાં ગ્રામીણ ઉદ્યોગ મંત્રી છે.

વાયરલ વિડિયોમાં અનબરસન કહી રહ્યા છે કે આપણા અનેક વડા પ્રધાન આવ્યા પરંતુ આવું કોઈ નહોતુ બોલતું. મોદી અમને નષ્ટ કરી દેવાની વાત કરે છે, પરંતુ હું તેમને એક વાત યાદ અપાવી દઉં કે, DMK કોઈ સામાન્ય સંગઠન નથી. તે અનેક બલિદાનો અને ખૂબ લોહી વહેવડાવ્યા બાદ બન્યું છે.

જે લોકોએ DMKને નષ્ટ કરવાની વાત કરી તેમનો જ વિનાશ થઈ ગયો. આ સંગઠન હંમેશાં રહેશે એ વાત દિમાગમાં રાખવી. મેં મોદીનો અલગ રીતે સામનો કર્યો હોત. અત્યારે હું ચૂપ છું, કારણ કે  હું એક મંત્રી છું. જો હું મંત્રી ન હોત તો તેમની સાથે બીજી રીત અપનાવી હોત.

ભાજપના IT સેલના ચીફ અમિત માલવિયાએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે INDIA ગઠબંધનનો એજન્ડા આનાથી વધુ સ્પષ્ટ ન હોઈ શકે. તેમનો ઉદ્દેશ સનાતન ધર્મ અને તેમાં માનનારાઓનો નાશ કરવાનો છે. બીજી તરફ ભાજના રાષ્ટ્રીય સચિવ સત્ય કુમાર યાદવે કહ્યું કે ફરી એક વખત INDIA ગઠબંધનનું છીછરો સ્તર સામે આવ્યુ છે. INDIA ગઠબંધન લોકસભાનાં પરિણામો જાણે જ છે તેથી જ તેઓ પીએમ મોદીને અપશબ્દો બોલી રહ્યા છે.