રાજ્યો ‘વન નેશન વન રેશન કાર્ડ’ની યોજના લાગુ કરેઃ સુપ્રીમ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરોને લઈને આદેશ આપતાં કહ્યું હતું કે બધાં રાજ્યો જુલાઈ, 2021 સુધી એક નેશન એક રાશન કાર્ડ યોજના લાગુ કરે. કેન્દ્રને રાજ્યોને વધારાના અનાજની ફાળવણી કરવાનો નિર્દેશ આપતાં કોર્ટે કહ્યું હતું કે રાજ્યોએ પ્રવાસી મજૂરોને રેશન વિતરણ માટે એક યોજના લાવવી જોઈએ. રાજ્યોએ પ્રવાસી મજૂરો માટે રોગચાળાના અંત સુધી સામૂહિક રસોઈ યોજના ચલાવવી જોઈએ. આ આદેશમાં કોર્ટે કહ્યું હતું કે  કેન્દ્ર અને રાજ્ય સરકારોએ અસંગઠિત ક્ષેત્રના મજૂરો સહિત પ્રવાસી મજૂરોના રજિસ્ટ્રેશનનું કામ 31 જુલાઈ, 2021 સુધી પૂરું કરે. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કોન્ટ્રેક્ટરો બનતી ત્વરાએ શ્રમિકોની નોંધણી કામ પૂરું કરે. રાજ્ય  વ્યક્તિઓ માટે સામૂહિક રસોઈ સ્થાપિત કરે અને બધી યોજનાઓ કમસે કમ આ રોગચાળા સુધી જારી રાખવા નિર્દેશ આપ્યા છે. બધાં રાજ્યોને ફ્રી રાશન વહેંચવાની યોજના બનાવવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

પ્રવાસી મજૂરોપર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પર આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અસંગઠિત કામદારોના ડેટા તૈયાર કરવામાં વિલંબને લઈ લાપરવા વલણને માફ નહીં કરી શકાય. અસંગઠિત ક્ષેત્રના પ્રવાસીઓ પર પોર્ટલમાં કેન્દ્રનો વિલંબ એ દર્શાવે છે કે એ પ્રવાસી શ્રમિકો માટે ચિંતિત નથી. એને દ્રઢતાથી નામંજૂર કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે કોરોના લોકડાઉનને કારણે પ્રવાસી મજૂરોને થઈ રહેલી સમસ્યાઓ મામલે સ્વતઃ માહિતી લઈને સુનાવણી શરૂ કરી છે.