કેરળમાં ચોમાસું બેસી ગયું; ત્રણ દિવસ વહેલું

તિરુવનંતપુરમઃ નૈઋત્ય ખૂણેથી ભારતમાં પ્રવેશ કરતા ચોમાસાની ઋતુના વાદળોએ આજે દક્ષિણના રાજ્ય કેરળની ધરતી પર આગમન કર્યું છે. હવે ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય ભાગોને પણ આવરી લેશે. કેરળમાં ચોમાસું આ વખતે ત્રણ દિવસ વહેલું પધાર્યું છે. સામાન્ય રીતે દર વર્ષે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. દેશમાં દર વર્ષે 70 ટકા વરસાદ નૈઋત્યના ચોમાસા દરમિયાન પડે છે.

નૈઋત્યનું ચોમાસું ભારતના ખેતીવાડી-આધારિત અર્થતંત્રની જીવાદોરી ગણાય છે. ભારતનું ખરું નાણાં પ્રધાન તો આ ચોમાસું છે. આ ચોમાસું સમયસર પધારે એની દેશનાં લોકો, ખાસ કરીને ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે.