ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર કરશે

ગાંધીનગર: રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપવા અને નવા રોકાણો આકર્ષવાના હેતુથી રાજ્ય સરકાર આગામી 15 જૂનના રોજ “ઔદ્યોગિક નીતિ-2026” સત્તાવાર રીતે જાહેર કરવા જઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે યોજાનારા એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપનું અનાવરણ કરવામાં આવશે.આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો વધારવા, નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારીની નવી તકોનું સર્જન કરવાનો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે રોકાણકારો માટે ગુજરાત અગ્રણી રોકાણ સ્થળ બને તે દિશામાં આ નીતિમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી હોવાની અપેક્ષા છે.

નવી ઔદ્યોગિક નીતિના મુખ્ય સંભવિત પાસાં

આગામી ‘ઔદ્યોગિક નીતિ-2026’માં ઉદ્યોગોના વિકાસ માટે નીચે મુજબના ક્ષેત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે,

ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ: ઉદ્યોગો શરૂ કરવા અને ચલાવવા માટેની વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવી.

MSME ક્ષેત્રનું સશક્તિકરણ: રાજ્યના નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ મજબૂત કરવા માટે વિશેષ પ્રોત્સાહનો આપવા.

અદ્યતન ઉત્પાદન અને ટૅક્નોલૉજી: અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા સાથે ટૅક્નોલૉજી આધારિત આધુનિક ઉદ્યોગોને પ્રેરિત કરવા.

નવા ઊભરતા ક્ષેત્રો: ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા (High-growth sectors) અને નવા ઊભરતા ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ માટે વધુ સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું.

રોકાણ અને માળખાગત સુવિધાઓ પર ધ્યાન

ઔદ્યોગિક ક્ષેત્રના વિશ્લેષકોના મતે, ગુજરાત લાંબા સમયથી વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, મજબૂત કનેક્ટિવિટી અને કુશળ કાર્યબળને કારણે સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર રહ્યું છે. નવી ઔદ્યોગિક નીતિ આ વર્તમાન સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવીને રાજ્યની આર્થિક સ્પર્ધાત્મકતા અને આર્થિક વિકાસને નવી દિશા આપશે તેવું અનુમાન છે. 15 જૂને જાહેર થનારા આ સત્તાવાર દસ્તાવેજ બાદ જ નીતિના તમામ આર્થિક પાસાંઓ અને સબસિડીના ધોરણો સ્પષ્ટ થશે.