પહેલાં દેશ, નફો-નિકાસની વાત પછી: પૂનાવાલા (કોવિશીલ્ડ)

પુણેઃ ભારત સરકારે જેની કોરોના રસી કોવિશીલ્ડને દેશમાં સામુહિક ધોરણે ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે તે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે અમે સરકારને પ્રતિ ડોઝ 200 રૂપિયાની સ્પેશિયલ કિંમત પર કોવિશીલ્ડ રસી આપી છે. ખાનગી બજારોમાં અમે અમારી રસી પ્રતિ ડોઝ 1000 રૂપિયામાં વેચીશું.

એક મુલાકાતમાં પૂનાવાલાએ કહ્યું કે, ઓર્ડર મુજબ અમારી રસીના કન્સાઈનમેન્ટ આજથી અમારી ફેક્ટરીમાંથી સરકારને મોકલવાનું શરૂ કરાયું છે તેથી આજનો દિવસ અમારી ફાર્માસ્યુટિકલ કંપની અને બાયોટેક્નોલોજી માટે ઐતિહાસિક છે. અમે કોવિશીલ્ડના દર મહિને 7-8 કરોડ ડોઝનું ઉત્પાદન કરીશું. અમે પહેલા આપણા દેશનું વિચાર્યું છે એટલે જ અમે સરકારને 200 રૂપિયાની સ્પેશિયલ કિંમતે રસી આપી છે. અમે અમારો નફો અને નિકાસ વિશે પછી વિચારીશું.