સંસદની કાર્યવાહીમાં અવરોધઃ દેશને ગઈ રૂ.133-કરોડની ખોટ

નવી દિલ્હીઃ સંસદમાં હાલ ચાલી રહેલા ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે અમુક મુદ્દે ભારે મતભેદ સર્જાતાં અને એને કારણે મડાગાંઠ સર્જાતાં કાર્યવાહીનો ઘણો ખરો ભાગ ખોરવાઈ ગયો છે. આને કારણે દેશની તિજોરીને રૂ. 133 કરોડની ખોટ ગઈ છે. પેગાસસ જાસૂસી વિવાદ, ખેડૂત કાયદા સહિત અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારના વલણ સામે વિરોધ પક્ષોએ ભારે વિરોધ નોંધાવ્યો છે.

આ મડાગાંઠ માટે સરકાર અને વિપક્ષ એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. ચોમાસું સત્રમાં અત્યાર સુધીમાં 89 કલાકો વેડફાઈ ગયા છે. રાજ્યસભા ગૃહમાં નિર્ધારિત સમય કરતાં માત્ર 21 ટકા કાર્યવાહી ચાલી શકી છે જ્યારે લોકસભામાં તો માત્ર 13 ટકા જ કામકાજ થઈ શક્યું છે. ચોમાસું સત્ર ગઈ 19 જુલાઈથી શરૂ થયું છે અને 13 ઓગસ્ટ સુધી ચાલવાનું છે.