આવતીકાલથી PM મોદી ગુજરાતમાં ગજવશે જનસભાઓ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ દ્વારા રાજ્યની 26માંથી 26 બેઠકો પર જીત મેળવવા માટે કમર કસવામાં આવી છે. સ્ટાર પ્રચારકો દ્વારા ધુંવાધાર પ્રચાર શરૂ કરી દેવાયો છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ હવે રાજયમાં કેટલીક બેઠકો પર જંગી જનસભાઓને સંબોધવાના છે. વડાપ્રધાન આવતીકાલથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

બે દિવસમાં છ જેટલી સભાઓ સંબોધશે

આવતીકાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન આવતીકાલે બપોરે ત્રણ કલાકે બનાસકાંઠાના ડિસામાં સભાને સંબોધન કરવાના છે. ત્યાર બાદ સાંજે પાંચ વાગે સાબરકાંઠામાં હિંમતનગરમાં સભાને સંબોધન કરશે. બીજી મેના રોજ સવારે 11 કલાકે આણંદ અને બપોરે એક કલાકે સુરેન્દ્રનગરમાં સભાઓ સંબોધશે. ત્યાર બાદ વડાપ્રધાન જૂનાગઢ જશે અને સાડા ત્રણ વાગે સભાને સંબોધિત કરશે. જ્યારે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જીતાડવા માટે વડાપ્રધાન સાંજે પાંચ વાગે સભાને સંબોધિત કરશે. ત્યાર બાદ તેઓ સીધા પશ્ચિમ બંગાળ જવા રવાના થશે.

pm modi

વડાપ્રધાન જામનગર ખાતે સભા યોજી બંગાળ રવાના થશે

એક તરફ રુપાલા વિવાદના કારણે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામા આવી રહ્યો છે અને ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાંકલ કરવામા આવી છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટથી જાહેર સભા કરીને પ્રચારનો પ્રારંભ કરે તેવી વાત હતી પરંતુ ક્ષત્રિય આંદોલનના પગલે આ કાર્યક્રમમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રાજકોટ બેઠકની સભા વઢવાણ ખાતે યોજાશે. તેમની છેલ્લી સભા જામનગર ખાતે યોજાશે. ત્યારબાદ તેઓ છઠ્ઠી મેના રોજ રાત્રે ફરી ગુજરાત આવશે અને સાતમીએ તેઓ અમદાવાદ આવીને મતદાન કરશે.