રાજકોટમાં સુરતવાળી કરવાના પ્લાનનો અંદેશો સાચો ઠર્યો?

રાજકોટ : લોકસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારની પસંદગીમાં જેમના નામનું લોબિંગ કરવામાં આવી રહ્યું હતું તેવા સામાજિક કાર્યકર અને શિવાજી સેનાના ગુજરાતના અધ્યક્ષ તેમજ અખિલ ભારતીય કોળીસેનાના યુવા પ્રમુખ વિક્રમભાઇ સોરાણી તેમના સર્મર્થકો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમા જોડાતા એવી અટકળો વહેતી થઈ છે, કે સુરતમાં ખેલો થયો એ પહેલા રાજકોટમાં આવો ખેલો કરવાનો પ્લાન હતો.

રાજકોટ કોંગ્રેસના એક જૂથે વિક્રમ સોરણીને ટિકિટ આપવા પાર્ટીને દબાણ કરતું હતું. પરંતુ રાજકોટના એક કોંગ્રેસના આગેવાન ડૉ .હેમાંગ વસાવડા એ વિક્રમ ને ટિકિટ આપવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે તેમને ટિકિટ આપશો તો તે ભાજપમાં ભળી જશે અંતે રાજકોટમાં પરેશ ધાનાણી ને ટિકિટ અપાઈ હતી. ગઈકાલે સાંજે રાજકોટ નજીક એક ગામમાં પાટીલની હાજરીમાં વિક્રમ સોરણી તેમના કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાતી વખતે તેમણે કહ્યું કે “વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે”. વિક્રમભાઇ સોરાણી ગત ડિસેમ્બરમાં વાંકાનેર વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચુંટણી લડ્યા હતા. આમ આપને પણ ફટકો પડ્યો છે.

જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, “આજે વિક્રમભાઇ સોરાણી ભાજપમાં જોડાયા છે. તેમનું હ્રદયથી સ્વાગત કરુ છું”. આ કાર્યક્રમમા સાંસદ મોહનભાઇ કુંડારિયા, રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ, ધારાસભ્યો, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી  ઉપસ્થિત રહ્યા હતા.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)

(તસવીર, નિશુ કાચા)