નીતીશકુમાર રાજ્યપાલને મળ્યાઃખેલા થવાની અટકળો

પટનાઃ બિહારના રાજકારણમાં ફરી એક વાર ગરમાટો આવ્યો છે. મુખ્ય મંત્રી નીતીશકુમાર રાજ્યપાલ રાજેન્દ્ર અરલેકર સાથે રાજભવન પહોંચીને આશરે 40 મિનિટ મુલાકાત કરી હતી. એ દરમ્યાન મુખ્ય મંત્રીની સાથે વિજય ચૌધરી પણ હતા. આ પહેલાં JDUએ કોંગ્રેસના એ દાવાને ફગાવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બિહારના CM રાહુલ ગાંધીની સભામાં સામેલ થવાના છે. JDU MLC ખાલિદ અન્વરે એ સ્પષ્ટ કર્યું હતું કે નીતીશકુમાર એવી કોઈ સભામાં સામેલ થવાના નથી.

બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણ રમાઈ રહ્યું છે, એનું એક મહત્ત્વનું કારણ ગૃહપ્રધાન અમિત શાહે નીતીશકુમારના NDAમાં આવવાની સંભાવનાના સવાલ પર કહ્યું હતું કે આવો કોઈ પ્રસ્તાવ આવશે તો એના વિચાર કરવામાં આવશે.CM નીતીશકુમાર બિહારના બજેટ સત્રને લઈને રાજ્યપાલથી વિચારવિમર્શ કરવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાતમાં કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

શાહના નિવેદન પછી બિહારના રાજકારણમાં JDU અને RJDમાં મતભેદો સપાટી પર આવ્યા છે. ત્યારે બિહારમાં ભાજપ નેતા સંજય સરનવગીએ કહ્યું હતું કે હાલ નીતીશ INDI ગઠબંધનમાં કોંગ્રેસ, લાલુ અને તેજસ્વીની સાથે છે. INDI ગઠબંધનનું કોઈ ભવિષ્ય નથી. જો નીતીશકુમાર ભાજપની સાથે હાથ મિલાવશે, ત્યારે તેમના સ્વાગત માટે અમે તૈયાર છીએ.INDI ગઠબંધનમાં સીટ વહેંચણીને આપસમાં રસાકસી છે.

હાલમાં બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજયકુમાર સિંહાના નિવાસસ્થાને ભાજપના વિધાનસભ્યોની બેઠક મળી હતી તો નીતીશકુમાર પણ JDUના બધા વિધાનસભ્યો અને સાંસદોને આગામી આદેશ સુધી પટનામાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યા હતા.