હિન્દુત્વ બંધારણની વિરુદ્ધ, હિંસા-હત્યાને ટેકો આપે છે મનુવાદઃ સિદ્ધારમૈયા

બેંગલુરુઃ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા ફરી એક વાર હિન્દુત્વ પર નિવેદન આપીને પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. તેમણે હિન્દુત્વનો હિંસા અને હત્યા કરવાવાળી વિચારધારા ગણાવી હતી. કોંગ્રેસે એ પણ કહ્યું હતું કે માત્ર આ એક એવો ધર્મ છે, જે હિંસા અને હત્યાને યોગ્ય ઠેરવે છે. તેમણે હિન્દુત્વને બંધારણની વિરુદ્ધ ગણાવ્યો છે. તેમના નિવેદનને કારણે કોંગ્રેસ પાર્ટી ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે.

કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ કલબુર્ગીમાં એક જનસભામાં કહ્યું હતું કે હિન્દુત્વ બંધારણની વિરુદ્ધ છે. હિન્દુત્વ અને હિન્દુ ધર્મ અલગ-અલગ છે. હું એક હિન્દુ છું, પણ મનુવાદ અને હિન્દુત્વનો વિરોધ કરું છું. કોઈ પણ ધર્મ હત્યા અને હિંસાને ટેકો નથી કરતો, પણ હિન્દુત્વ અને મનુવાદ હત્યા, હિંસા અને ભેદભાવને ટેકો આપે છે.

પક્ષની મુશ્કેલીઓમાં વધારો?

કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ ખુદ એલાન કર્યું હતું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. તેમના માટે એ ચૂંટણી બહુ મહત્ત્વની છે. તેઓ ચૂંટણી જીતવા માટે દરેક વર્ગને સંતુષ્ટ કરવાવાળા નિવેદન આપી રહ્યા છે. તેમનાં નિવેદનો પક્ષ માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યાં છે.

કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો પર મે, 2023માં ચૂંટણી થાય એવી શક્યતા છે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મે, 2023ને પૂરો થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણી મે, 2018માં થઈ હતી. ચૂંટણી પછી JDS અને કોંગ્રેસના ગઠબંધને રાજ્ય સરકાર બનાવી હતી, ત્યારે એચડી કુમારસ્વામી મુખ્ય પ્રધાન બન્યા હતા. એ સરકાર કેટલાક મહિનાઓમાં પડી ગઈ હતી.