AAP સંસદસભ્ય સંજય સિંહના નિવાસે EDનો દરોડો

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ રાજ્યસભા ગૃહમાં આમ આદમી પાર્ટીના સદસ્ય અને વરિષ્ઠ નેતા સંજય સિંહના નિવાસસ્થાને આજે સવારે દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી એક્સાઈઝ નીતિ સંબંધિત મની લોન્ડરિંગને લગતા એક કેસના સંબંધમાં પાડવામાં આવ્યા છે. આ જ કેસ સાથે સંકળાયેલા કેટલાક અન્ય લોકોની સામે પણ તપાસ ચાલી રહી છે.

ઈડી અધિકારીઓએ આ કેસમાં 51 વર્ષીય સંજય સિંહ અને એમના સ્ટાફના સભ્યોની અગાઉ પણ પૂછપરછ કરી હતી. એવો આક્ષેપ છે કે શરાબના વેપારીઓને લાઈસન્સ મંજૂર કરવા માટે દિલ્હી AAP સરકારે 2021-22માં ઘડેલી એક્સાઈઝ નીતિમાં કેટલાક એવા વેપારીઓને ફાયદો કરાવવામાં આવ્યો હતો જેમણે એ માટે લાંચ આપી હતી. આ આક્ષેપને જોકે આમ આદમી પાર્ટી રદિયો આપી ચૂકી છે. એ નીતિને બાદમાં રદ પણ કરી દેવામાં આવી હતી અને દિલ્હીના લેફ્ટેનન્ટ ગવર્નરે આ મુદ્દે સીબીઆઈ દ્વારા તપાસ કરવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી. એને પગલે ઈડી એજન્સીએ મની લોન્ડરિંગને લગતા કાયદા (PMLA) અંતર્ગત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.