ચક્રવાત ઓખીનો હાહાકારઃ બચાવ કામગીરી માટે નૌકાદળે જહાજો ઉતાર્યા

તિરુવનંતપુરમ – ચક્રવાતી વાવાઝોડું તામિલ નાડુ અને કેરળ રાજ્યોમાં કાંઠાળ વિસ્તારોમાં ત્રાટક્યું છે અને બચાવ કામગીરી માટે ભારતીય નૌકાદળે તેના અનેક જહાજોને તહેનાત કર્યાં છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

વાવાઝોડા ઓખીએ તામિલ નાડુ અને કેરળમાં મોટા પાયે વિનાશ કર્યો છે અને હવે તે લક્ષદ્વીપ ટાપુઓ તરફ આગળ વધ્યું છે.

સીતારામને કહ્યું છે કે કોચી બંદરેથી સીજીએસ સમર્થ જહાજને અસરગ્રસ્ત વિસ્તાર તરફ મોકલી દેવામાં આવ્યું છે. કેરળના કાંઠા પરના વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવા માટે તમામ સાત યુનિટ્સને આદેશ આપી દેવાયો છે. વધુમાં, ઈસ્ટર્ન નેવલ કમાન્ડ P8i મેરિટાઈમ પેટ્રોલ વિમાન પણ ઉતારશે.

સીતારામને એક અન્ય ટ્વીટમાં જણાવ્યું છે કે ‘આઈએનએસ સાગરધ્વનિ’ સહિત છ યુદ્ધજહાજો તથા બે કોસ્ટગાર્ડ જહાજોને પણ બચાવ કામગીરી માટે ઉતારવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે જ આગાહી કરી હતી કે તામિલ નાડુ અને કેરળ રાજ્યોમાં ચક્રવાત ઓખીને કારણે અતિ ભારે વરસાદ પડશે અને ખૂબ ઝડપે પવન ફૂંકાશે.

બંગાળના અખાતમાં નૈઋત્ય ભાગમાં હવાનું નીચું દબાણ સર્જાયું હતું અને એમાંથી ચક્રવાતી વાવાઝોડા ઓખીએ આકાર લીધો છે.

દરમિયાન, બંને રાજ્યોમાં વાવાઝોડું ત્રાટક્યા બાદ 80 માછીમારો લાપતા થયા છે અને એમની 50 નૌકાઓ પણ ગૂમ છે.

httpss://twitter.com/indiannavy/status/936415827036848128

httpss://twitter.com/DefenceMinIndia/status/936288565289394176

httpss://twitter.com/indiannavy/status/936420198214598656