મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સત્યેન્દ્ર જૈનને શરતી જામીન

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સત્યેન્દ્ર જૈનને જામીન મળ્યા છે. દિલ્હીનમી રાઉઝ એવેન્યુ કોર્ટમાં તેમને રૂ. 50,000ના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. જોકે કોર્ટે તેમને શરતી જામીન આપતાં કહ્યું હતું કે તેઓ દેશની બહાર નહીં જઈ શકે.

આપના નેતા સત્યેન્દ્ર જૈન 18 મહિના બાદ જેલમાંથી બહાર આવશે. જામીન આપતાં ત્યારે હાઈકોર્ટે સત્યેન્દ્ર જૈનની લાંબા સમયથી કસ્ટડીમાં હોવાનો હવાલો આપ્યો છે અને મનીષ સિસોદિયાના મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેતાં મૌલિક અધિકાર રૂપે ત્વરિત સુનાવણી કરવાના હક પર ભાર મૂક્યો હતો.કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવતાં વ્યક્તિગત સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

ખાસ કરીને PMLA જેવા કડક કાયદા સંબંધિત મામલામાં વ્યક્તિની સ્વતંત્રતાને ધ્યાનમાં લેવી આવશ્યક છે. કોર્ટે મનીષ સિસોદિયા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને આધાર બનાવતાં જામીન મંજૂર કર્યા છે. આ મામલે તપાસ કરી રહેલા EDએ સત્યેન્દ્ર જૈનને જામીન ન આપવા દલીલ કરી હતી.

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ

સત્યેન્દ્ર જૈનની EDએ 30 મે, 2022એ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. જેમાં જૈનના નામે ચાર કંપનીઓના માધ્યમથી મની લોન્ડરિંગ થયુ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2017માં CBI દ્વારા આ કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો.