આર્ટિકલ-370: દિગ્વિજય સિંહે ભાજપને અભણ લોકોની ‘જમાત’ કહ્યો  

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દિગ્વિજય સિંહ પરા ભાજપે નિશાન સાધ્યું છે. દિગ્વિજય સિંહના ક્લબ હાઉસ ચેટનો વિડિયો વાઇરલ થતાં હંગામો મચી ગયો છે. આ ઓડિયોમાં તેમણે દાવો કર્યો હતો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો એ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ફરી લાગુ કરશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે દિગ્વિજય સિંહ પાકિસ્તાનની હામાં હા મિલાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ બાબતે જવાબ આપવો જોઈએ. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબદુલ્લાએ દિગ્વિજય સિંહને આ મુદ્દો ઉઠાવવા માટે આભાર વ્યક્ત કર્યો છે.  

સંબિત પાત્રાએ કહ્યું હતું કે એ આ જ દિગ્વિજય સિંહ છે, જેમણે પુલવામાને એક ઘટના બતાવી હતી અને 26/11ના આતંકવાદી હુમલાને RSSનું કાવતરું ગણાવ્યું હતું. દિગ્વિજય સિંહનું નિવેદન જોતાં એમ લાગે છે કે પાકિસ્તાનની સાથે કોંગ્રેસની સાઠગાંઠ છે.

જોકે સામે પક્ષે ક્લબ હાઉસ ચેટના ઓડિયો પર ભાજપના નેતાઓની તીખી આલોચના કરતાં રાજ્યસભાના સંસદસભ્યો દિગ્વિજય સિંહે તેમને અભણ ગણાવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને ભાજપના નેતાઓને અભણ લોકોની જમાતને Shall અને Consider વચ્ચેનો ફરક સમજી નથી શકતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમની વાત ભાજપના નેતાઓ ખોટી રીતે લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે અને આ લોકો અભણ છે.

સોશિયલ મિડિયામાં આ મુદ્દો છવાઈ ગયો છે. આ પહેલાં પણ ક્લબ હાઉસના કેટલાય ચેટ વાઇરલ છે. થોડા દિવસો પહેલાં પ્રશાંત કિશોરનો પણ ઓડિયો વાઇરલ થયો હતો.