મુંબઈમાં મેઘરાજા આવતાવેંત જામી પડ્યા; ઠેરઠેર પાણી ભરાયા

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગની આગાહી કરતાં બે દિવસ વહેલું, આજથી ચોમાસું મુંબઈ મહાનગર તથા આસપાસના વિસ્તારોમાં બેસી ગયું છે. સવારથી જ સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સૂર્યનારાયણના દર્શન દુર્લભ થયા છે. જોકે મોસમના પહેલા જ વરસાદે મુંબઈમાં અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધા છે. સબવે તથા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાતાં લોકોને ચાલવામાં તકલીફ પડી રહી છે તો વાહનો ધીમી ગતિએ થતાં લાઈન લાગતાં ટ્રાફિક જામની સમસ્યા ખડી થઈ છે.

મુંબઈમાં સામાન્ય રીતે 10 જૂનથી નૈઋત્યનું ચોમાસું બેસતું હોય છે. આ વખતે અનુમાન 11 જૂનનું હતું, પરંતુ ગઈ કાલથી જ ચોમાસાને અનુકૂળ વાતાવરણ સર્જાયું હતું અને આકાશ ભેજવાળા વાદળોથી છવાઈ ગયું હતું. મુંબઈ-અમદાવાદને જોડતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, મુંબઈ-થાણે-દિલ્હીને જોડતા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને ઈસ્ટર્ન ફ્રીવે પર ટ્રાફિક જામની તકલીફો જોવા મળી રહી છે. દહિસર, મલાડ, અંધેરી અને સાંતાક્રુઝ ખાતેના પૂર્વ-પશ્ચિમને જોડતા સબવેમાં પાણી ભરાતાં તે સવારે થોડોક સમય સુધી બંધ કરી દેવા પડ્યા હતા. એસ.વી. રોડ ઉપર પણ અનેક ઠેકાણે પાણી ભરાયા છે, પરિણામે વાહનોને ધીમી ગતિએ ચલાવવાની ચાલકોને ફરજ પડી રહી છે. મુંબઈ પોલીસ તથા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ મિડિયાના માધ્યમથી નાગરિકો તથા વાહનચાલકોને પરિસ્થિતિ વિશે સતત જાણકારી તથા માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે. એસ.વી. રોડ ઉપરાંત નેતાજી પાલકર ચોક, જોગેશ્વરી વેસ્ટ બેહરામ બાગ જંક્શન, ગોવંડી, હિંદમાતા જંક્શન, ધારાવી રેસ્ટોરન્ટ, ધારાવી, સાયન, કિંગ્સ સર્કલ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. મધ્ય રેલવે વિભાગ ઉપર, સાયન અને કુર્લા સ્ટેશનો પાટા પર પાણી ભરાતાં સવારે 10 વાગ્યાથી સીએસએમટી અને થાણે વચ્ચેની લોકલ ટ્રેન સેવા સસ્પેન્ડ કરી દેવી પડી છે. એવી જ રીતે, હાર્બર લાઈન પર માનખુર્દ અને પનવેલ સ્ટેશનો વચ્ચે જ લોકલ ટ્રેન સેવા ચાલુ છે. હાર્બર લાઈન ઉપર, ચુનાભટ્ટી સ્ટેશન પાસે પાટા પર પાણી ભરાતાં સીએસએમટી અને વાશી વચ્ચેની લોકલ ટ્રેન સેવા હાલ બંધ કરી દેવામાં આવી છે.