ડેલ્ટા-પ્લસ ફેલાયો હોવાથી દહી-હાંડી ઉજવણીની પરવાનગી નહીં

મુંબઈઃ જીવલેણ એવા કોરોનાવાઈરસ રોગચાળાનો ડેલ્ટા પ્લસ પ્રકાર ફેલાયો છે અને રોગની ત્રીજી લહેર ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં લઈને મહારાષ્ટ્ર સરકારે આ વખતે જન્માષ્ટમી તહેવાર વખતે દહી-હાંડી (મટકીફોડ) ઉજવણી કરવાની પરવાનગી ન આપવાનો આજે નિર્ણય લીધો છે.

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી મુંબઈ દહી હાંડી સંકલન સમિતિના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજ્યા બાદ નિર્ણય લીધો હતો કે આ વખતે મુંબઈમાં દહી-હાંડી ઉજવણીની પરવાનગી આપવી નહીં. સરકારના આ નિર્ણયને કારણે મુંબઈભરનાં ‘ગોવિંદાઓ’ નિરાશ થશે, પરંતુ કોરોના બીમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારના નિર્ણયને સમર્થન આપશે. દહી-હાંડી ઉજવણી ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ પછીના દિવસે કરવામાં આવે છે.