મુંબઈમાં ચોમાસા પૂર્વેના પહેલા વરસાદે ત્રણનો ભોગ લીધો

મુંબઈ – શહેરના ઉપનગરોમાં શનિવાર રાતે પડેલા ચોમાસા પૂર્વેના જોરદાર વરસાદે ત્રણ જણનો ભોગ લીધો છે. વીજળીનો કરંટ લાગવાથી મુલુંડ, ભાંડુપમાં બે બાળક સહિત ત્રણ જણનાં મરણ નિપજ્યા છે.

પહેલા બનાવમાં, શનિવારે રાતે લગભગ 8.20 વાગ્યે મુલુંડમાં અનિલ યાદવ અને ઝારા યુનુસ ખાન (9)ને વીજળીનો કરંટ લાગ્યો હતો. બંનેને અગ્રવાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાં એમને મૃત લાવેલા ઘોષિત કરાયા હતા.

બીજો બનાવ ભાંડુપમાં બન્યો હતો. ત્યાં પણ બે જણને વીજળીનો શોક લાગ્યો હતો. એમાંના ઓમ અપ્પા પડતરે નામના 10 વર્ષના છોકરાને હોસ્પિટલમાં પહોંચતાં જ મૃત ઘોષિત કરાયો હતો જ્યારે રોહન સુતાર નામના 12 વર્ષના અન્ય છોકરા પર સારવાર ચાલી રહી છે.