દર્દીઓ માટે રક્ત પુરવઠો મેળવવા વિશેષ કેમ્પ યોજાયો, મળી 279 બ્લડબેગ્ઝ

ગાંધીનગર– ઉનાળાની સિઝનમાં લોહીના જથ્થાની અછતને પહોંચી વળવા તથા દર્દીઓને સમયસર બ્લડ મળી રહે તે આશયથી રાજય સરકારના આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન ગુજરાત અને જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એન.એચ.એમ. ભવન સિવિલ હોસ્પિટલ કેમ્પસ ગાંધીનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પમાં કુલ ૨૭૯ બ્લડ બેગ્સ એકત્રિત કરાઈ હતી. જે પૈકી ૧૩૧ બ્લડ બેગ્સ સિવિલ હોસ્પિટલ અસારવા, અમદાવાદ અને ૧૪૮ બ્લડ બેગ્સ જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ગાંધીનગરને દર્દીઓના ઉપયોગ સારું ફાળવવામાં આવ્યું હતું.

સ્વૈચ્છિક રક્તદાનથી પ્રાપ્ત થયેલ તમામ બ્લડ બેગ્સનો ઉપયોગ જીવન ટકાવી રાખવા માટે લડતા હજારો દર્દીઓ, પ્રસૂતા માતાઓ, ટ્રાફિક એક્સિડન્ટ, થેલેસેમિયા, કેન્સરની સારવાર લેતા દર્દીઓના ઉપયોગ માટે લેવાશે.

આ રક્તદાન કેમ્પમાં શહેરના નાગરિકો, કર્મચારીઓ તેમજ તબીબોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આ રક્તદાન કેમ્પના સફળ આયોજન બાદ મિશન ડાયરેક્ટર, નેશનલ હેલ્થ મિશન ગુજરાતના નેતૃત્વ હેઠળ આગામી 14 જૂને વિશ્વ રક્તદાતા દિન નિમિતે જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, સોલા, અમદાવાદ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું છે એમ મિશન ડાયરેક્ટર, નેશનલ હેલ્થ મિશન ગુજરાતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.