મહારાષ્ટ્રમાં આ-વર્ષે પણ ગરબા, દાંડિયા-રાસની પરવાનગી નહીં

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ઘટી ગયો છે, પરંતુ સમાપ્ત થયો ન હોવાથી રાજ્ય સરકારે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવમાં ગરબા, દાંડિયારાસના આયોજન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. નવરાત્રી ઉત્સવ આવતી 7 ઓક્ટોબરથી શરૂ થવાનો છે.

સરકારે બહાર પાડેલા પરિપત્ર અનુસાર નવરાત્રી ઉત્સવ કોઈ પણ પ્રકારનો મંડપ બાંધવા માટે મહાનગરપાલિકાની આગોતરી પરવાનગી મેળવવી ફરજિયાત રહેશે. આ માટે એક ઓનલાઈન સેવા પણ કાર્યાન્વિત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા નિશ્ચિત કરેલા નિયમો અંતર્ગત મંડપ બાંધવા દેવામાં આવશે. પરંતુ માતાજી કે અન્ય ભગવાનની મૂર્તિઓની ઊંચાઈ માત્ર ચાર ફૂટની જ રાખવાની રહેશે અને મંડપનો આકાર પણ મહાપાલિકાએ નક્કી કરેલા નિયમો અનુસારનો જ રાખવાનો રહેશે. રાજ્ય સરકારે એક ગાઈડલાઈન સૂચના બહાર પાડીને નાગરિકોને વિનંતી કરી છે કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવ સાદાઈથી ઉજવવો.