‘સાઈલન્ટ કિલર’: દુશ્મનો માટે કાળ બનીને રહેશે સબમરીન INS ખંડેરી

મુંબઈ: ભારતની સ્કોર્પીયન કેટેગરીની બીજી સૌથી અત્યાધુનિક સબમરીન આઈએનએસ ‘ખંડેરી’ ભારતીય નેવીમાં સામેલ થઈ ગઈ છે. ‘સાઈલન્ટ કિલર’ તરીકે ઓળખાતી આઈએનએસ ખંડેરી પાણીમાં દુશ્મન પર સૌથી પહેલો પ્રહાર કરવા માટે જાણીતી કલવરી શ્રેણીની આ બીજી ડીઝલ-ઈલેક્ટ્રીક સબમરીન છે. ખંડેરીના આગમનથી ભારતીય નૌસેનાને નવી તાકત મળી ગઈ છે. 300 કિલોમીટર દૂર સ્થિત દુશ્મનના જહાજને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતી આઈએનએસ ખંડેરી શત્રુઓ માટે કાળ સ્વરૂપ છે.

ખંડેરી સબમરીન ભારતીય સમુદ્રી સીમાની સુરક્ષા કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ ખંડેરીમાં ટોરપીડો અને એંટિશિપ મિસાઈલ્સ પણ રાખવામાં આવશે. જે પાણીથી પાણી અને પાણીથી કોઈ પણ યુદ્ધ જહાજને જમીનદોસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે. ખંડેરી પાણીની અંદર 45 દિવસ સુધી રહી શકે છે. આ સબમરીન એક કલાકમાં ખૂબ જ સરળતાથી 35 કિલોમીટરનું અંતર કાપી શકે છે. 67 મીટર લાંબી, 6.2 મીટર પહોળી અને 12.3 મીટરની ઉંચાઈ ધરાવતી આ સબમરીનનું કુલ વજન 1550 ટન છે. જેમાં 36થી વધારે નેવી જવાનો રહી શકે છે. દુશ્મન સેનાના છક્કા છોડાવવાની ક્ષમતા ધરાવનારી ખંડેરી સમુદ્રમાં 300 મીટરના ઉંડાણ સુધી જઈ શકશે. તેમજ કોઈ પણ રડાર ખંડેરીને ડિટેક્ટ કરી શકશે નહીં.

એક વખત પાણીમાં ઉતર્યા બાદ ખંડેરી 12,000 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તે બેટરી પર ચાલનારી સબમરીન છે. લાંબા સયમ સુધી પાણીમાં રહેવા માટે તેમાં 750 કિલોની 360 બેટરી લગાવવામાં આવી છે. બેટરીને ચાર્જ કરવા માટે તેમાં 1250 વોટ્સના બે ડીઝલ જનરેટર પણ લગાવવામાં આવ્યા છે.

ખંડેરી સબરીનમાં રેડાર, સોનાર, એન્જિન સહિતના નાના-મોટા 1,000થી વધારે ઉપકરણો લગાવવામાં આવ્યા છે. તેમ છતા પણ તે પાણીમાં અવાજ ન થાય તે રીતે ચાલી શકવાની ક્ષણતા ધરાવે છે. તે પાણીમાં ચાલનારી વિશ્વની સૌથી શાંત સબમરીન્સમાંથી એક છે. આજ કારણે તે રડારમાં સરળતાથી નથી પકડાઈ શકતી અને તેથી જ તેને ‘સાઈલેન્ટ કિલર’ પણ કહેવામાં આવે છે.

ખંડેરીનું નામ મહાન મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજના ખંડેરી દુર્ગના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ દુર્ગ અથવા કિલાની ખાસીયત એ હતી કે, આ એક જળ દુર્ગ હતો એટલે કે, ચારે તરફથી પાણીમાં ઘેરાયેલ હોવાથી દુશ્મનો માટે અભેદ હતો.