બ્રિટનમાંથી લાખો મુસ્લિમોની હકાલપટ્ટીની શક્યતા

લંડનઃ બ્રિટનમા હાલના કાયદાઓ હેઠળ આશરે 90 લાખ લોકો, એટલે કે દેશની કુલ વસતિના લગભગ 13 ટકા લોકો બ્રિટિશ નાગરિકતા ગુમાવે એવી શક્યતા છે, એમ બ્રિટનના એક નવા રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે. આ રિપોર્ટ રનિમિડ ટ્રસ્ટ અને રિપ્રિવ નામની બે સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ આ કાયદાઓ ખાસ કરીને મુસ્લિમ સમુદાય, દક્ષિણ એશિયા, મધ્ય-પૂર્વ અને આફ્રિકાથી સંબંધ ધરાવતા લોકોને વધારે અસર કરશે.

મુસ્લિમ ગૃહ સચિવ જ મુસ્લિમોની મુશ્કેલી

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટનની ગૃહ સચિવ શબાના મહમૂદ પાસે એ અધિકાર છે કે જો તેમને લાગે કે કોઈ વ્યક્તિ બીજે કોઈ દેશની નાગરિકતા મેળવી શકે છે, તો તેઓ તેની બ્રિટિશ નાગરિકતા છીનવી શકે છે—ભલે તે વ્યક્તિનો એ દેશ સાથે કોઈ વ્યક્તિગત સંબંધ ન હોય. આ અધિકારનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર હિતને નામે થાય છે. રિપોર્ટમાં તેને ‘અતિશય અને ગુપ્ત’ અધિકાર ગણાવવામાં આવ્યો છે, જે મુસ્લિમ સમુદાય માટે મોટો ખતરો બની ગયો છે.

ભારત અને પાકિસ્તાન જેવા દેશો પર વધુ અસર

આ કાયદાથી સૌથી વધુ અસરગ્રસ્ત થનારા દેશોમાં ભારત (9.84 લાખ લોકો), પાકિસ્તાન (6.79 લાખ લોકો) અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આ સિવાય સોમાલિયા, નાઇજિરિયા, ઉત્તર આફ્રિકા અને મધ્ય-પૂર્વ સાથે જોડાયેલા બ્રિટિશ નાગરિકો પણ જોખમમાં છે. રિપોર્ટ મુજબ રંગભેદનો ભોગ બનેલા લોકો (પીપલ ઓફ કલર)માંથી ત્રણમાં પાંચ લોકો અસરગ્રસ્ત થઈ શકે છે, જ્યારે સફેદ બ્રિટિશ લોકોમાં માત્ર વીસમાં એક. એટલે કે રંગભેદનો ભોગ બનેલા લોકો માટે જોખમ 12 ગણું વધારે છે. જો બ્રિટનમાંથી મુસ્લિમોને કાઢી મૂકવામાં આવે, તો તેઓ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં શરણ લે એવી શક્યતા છે.