પટનાઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર બિહાર ભાજપ અધ્યક્ષ દિલીપ જયસવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે ખડગે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેમની પાર્ટીએ દેશમાં 65 વર્ષ સુધી અઘોષિત ગુલામી બનાવી રાખી હતી. દેશમાં એક સમય એવો હતો જ્યારે કાશ્મીરના યુવાનો પોતાના જ લોકોને પથ્થર મારતા હતા. આ લોકોને શરમ પણ નહોતી આવતી કે એક જ દેશમાં બે ધ્વજ, બે બંધારણ અને બે કાયદા ચાલતા હતા.
તેમણે કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગે પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેમને એની શા માટે ચિંતા છે કે પીએમ મોદી દેશની સુરક્ષા અને વિકાસ વિશે વિચારી રહ્યા છે? એક વડા પ્રધાન માત્ર સરહદ અને દુશ્મન વિશે નહીં, પણ દુનિયાને એક મુઠ્ઠીમાં લાવવાની વાત પણ કરી શકે છે. પીએમ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. ખડગેજી તેમને માત્ર દેશ સુધી જ શા માટે સીમિત રાખવા માગે છે?
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મામલે જણાવ્યું હતું કે હું સેનાના શૌર્યને નમન કરું છું અને નેતૃત્વની રણનીતિને સલામ કરું છું. જ્યારે દેશ ગર્વ અનુભવી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષે સત્તા કે વિપક્ષ નહીં, પણ આપણે સૌએ ભારત માતાના સંતાન તરીકે સહયોગ કરવો જોઈએ. પણ દુર્ભાગ્યથી કોંગ્રેસ અને કેટલાક અન્ય રાજકીય પક્ષો સતત ઓપરેશન સિંદૂર પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેઓ પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. તેમની ભાષા એવી છે કે તેઓ પાકિસ્તાન સમર્થક જણાય છે. સેનાના શૌર્ય પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. રાજકીય લાભ માટે તેમણે પીએમ મોદીના વિરોધ કરતાં-કરતાં રાષ્ટ્રના વિરોધની દિશામાં ચાલ્યા ગયા છે. દેશની જનતા આવા લોકોને ક્યારેય માફ નહીં કરે.
