VIDEO: લંડનમાં ખાલિસ્તાની સમર્થકોનો જયશંકરની કાર રોકવાનો પ્રયાસ, ત્રિરંગો ફાડયો

લંડન: વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે બુધવારે તેઓ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરને પણ મળ્યા. જ્યારે ગુરુવારે લંડનના થિંક ટેન્ક ચેથમ હાઉસ ખાતે ‘વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા’ વિષય પર વાત કરી હતી. આ પહેલા એક ચોંકાવનારી ઘટના બની જેની સમગ્ર ભારતમાં ચર્ચા થવા લાગી છે.

વિદેશ મંત્રી જયશંકર ચૅથમ હાઉસ પહોંચે તે પહેલાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ત્યાં પહોંચી ગયા હતા. તેમણે ભારત વિરોધી નારેબાજી કરવાની શરૂઆત કરી દીધી હતી. આ દરમિયાન જ્યારે જયશંકર ચેથમ હાઉસથી નીકળી રહ્યા હતા ત્યારે જ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

એસ.જયશંકર સામે તિરંગાનું અપમાન 

એક અહેવાલ અનુસાર એક વ્યક્તિ જયશંકરની ગાડી સામે આવીને તિરંગાને ફાડવા લાગ્યો હતો. વ્યક્તિની આ હરકત જોયા બાદ સુરક્ષાકર્મીઓએ તેને તાત્કાલિક પકડી પાડ્યો હતો અને ગાડીથી દૂર લઈ ગયા. જ્યારે એકબાજુ અમુક ખાલિસ્તાની સમર્થકો પોતાના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો લઈને નારેબાજી કરવા લાગ્યા હતા.

PoK મળતાં જ કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જશે 

જ્યારે સ્વતંત્ર નીતિ સંસ્થાન ચેથમ હાઉસમાં કાશ્મીર મુદ્દે વિદેશમંત્રીને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર ખાલી કરવાથી કાશ્મીરના મુદ્દાનો ઉકેલ આવી જશે. કાશ્મીરમાં મોટાભાગના મુદ્દાઓને ઉકેલવા અમારી સરકારે સારું કામ કર્યું છે. મને લાગે છે કે કલમ 370 હટાવવી એ એક સારું પગલું હતું.  હવે પાકિસ્તાન અમને કાશ્મીરનો અમારો હિસ્સો પાછો આપી દે તો હું આશ્વાસન આપું છું કે કાશ્મીરના મુદ્દાનો ઉકેલ આવી જશે.