વિશાખાપટ્ટનમઃ આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ પ્રસંગે વિશ્વભરના લોકો સાથે મળીને યોગ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગ સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ પહોંચ્યા છે. ત્યાં લોકોને સંબોધતાં પીએમ મોદીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને વિશ્વના તમામ લોકોને શુભકામનાઓ. આજે ૧૧મી વખત, ૨૧ જૂને આખી દુનિયા સાથે મળીને યોગ કરી રહી છે. યોગનો સરળ અર્થ જોડવાનો છે. અને યોગે આખી દુનિયાને કેવી રીતે જોડી છે તે જોવું સુખદ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે આજે આખું વિશ્વ યોગ કરી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશાખાપટ્ટનમમાં યોગ દિવસ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. વિશાખાપટ્ટનમમાં તેમણે ત્રણ લાખ લોકોને સાથે લઈને સમૂહ યોગ કર્યા હતા.
Yoga isn’t just an exercise. It is a way of life. Wonderful to join this year’s Yoga Day celebrations in Visakhapatnam. https://t.co/ReTJ0Ju2sN
— Narendra Modi (@narendramodi) June 21, 2025
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે હું છેલ્લા દાયકામાં યોગની સફર પર નજર નાખું છું, ત્યારે મને ઘણી બધી વાતો યાદ આવે છે. તે દિવસ જ્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવી જોઈએ અને પછી સૌથી ઓછા સમયમાં વિશ્વના ૧૭૫ દેશો અમારા પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. આવી એકતા, આવો ટેકો આજના વિશ્વમાં સામાન્ય ઘટના નથી. આ ફક્ત કોઈ પ્રસ્તાવનું સમર્થન નહોતું, તે માનવતાના કલ્યાણ માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો.
પીએમ મોદીએ કહ્યું, ‘સિડની ઓપેરા હાઉસના પગથિયાં હોય, એવરેસ્ટના શિખરો હોય કે સમુદ્રનો વિસ્તાર હોય. દરેક જગ્યાએથી એક જ સંદેશ આવે છે – યોગ દરેકના છે અને દરેક માટે છે. કમનસીબે, આજે આખું વિશ્વ કોઈ ને કોઈ પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણાં ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. આવી સ્થિતિમાં, યોગ આપણને શાંતિની દિશા આપે છે.
