મહારાષ્ટ્રમાં BMC ચૂંટણી પહેલાં મહાયુતિમાં તિરાડ?

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ બીએમસીમાં ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ઘણું ઊંચું છે. આ દરમિયાન મહાયુતિ સરકારના જ બે ટોચના નેતાઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. એક તરફ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે અને બીજી તરફ ઉપમુખ્ય મંત્રી અજિત પવાર. મુખ્ય મંત્રી ફડણવીસના એક નિવેદનને સાંપ્રદાયિક ગણાવીને અજિત પવારે તેની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તેઓ ધર્મનિરપેક્ષ વિચારધારા ધરાવે છે.

પવારે જણાવ્યું કે ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં દરેક વ્યક્તિ સમાન નાગરિક છે. પવારે કહ્યું હતું કે મને આ વાત બિલકુલ પસંદ નથી. મારી વિચારધારા ધર્મનિરપેક્ષ છે.

પવારે યાદ અપાવી આંબેડકરની વિચારધારા

પવારે વધુમાં કહ્યું કે જો કોઈ દેશ વિરુદ્ધ ગદ્દારી કરે છે તો તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને મૃત્યુદંડ આપવામાં આવવો જોઈએ, તે માટે નવો કાયદો બનાવવો જોઈએ. એ સાથે જ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની વિચારધારાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે દરેકને પોતાની ક્ષમતા બતાવવાની અને કામ કરવાની તક મળવી જોઈએ. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં આપણને આ જ શીખવ્યું છે અને અન્ય મહાન વ્યક્તિત્વોએ પણ એ જ કહ્યું છે.

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું હતું?

મહત્વની વાત એ છે કે અજિત પવારનું આ નિવેદન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના તે દાવા પછી એક દિવસમાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે બીએમસીનો નવો મેયર મહાયુતિમાંથી હશે, તે હિંદુ હશે અને મરાઠી હશે.

વિપક્ષ દ્વારા ‘મરાઠી માનુષ’ ખતરામાં હોવાના દાવાઓ પર જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે ખતરો મરાઠી સમાજને નથી, પરંતુ કેટલીક રાજકીય શક્તિઓના અસ્તિત્વને છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર તમામ મરાઠી લોકોનું છે, કોઈ એક જૂથનું નહીં.

પવાર પર ભડક્યા હતા ફડણવીસ

આ અગાઉ પુણેમાં નગરપાલિકા ચૂંટણી દરમિયાન એનસીપીના નેતા અજિત પવારે પોતાની પાર્ટીના ઘોષણાપત્રમાં મેટ્રોમાં મફત મુસાફરીનું વચન આપ્યું હતું. આ વચનને લઈને ફડણવીસે અજિત પવારનું નામ લીધા વિના જ ટીકા કરી હતી અને કહ્યું હતું કે જેને જે વચન આપવું છે તે આપી રહ્યો છે, પરંતુ આવા વચનો ક્યારેય હકીકતમાં સાકાર થવાનાં નથી.