નવી દિલ્હી: દિલ્હીના માલવીય નગરમાં આવેલી હોટેલમાં થયેલા ભીષણ અગ્નિકાંડ મામલે પોલીસે હોટેલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. હાલ તેની ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ લવકેશ બજાજ અને તેના બે ભાગીદારોને પકડવા માટે દિલ્હી પોલીસે અનેક ટીમો બનાવી હતી. આ ટીમોએ દિલ્હીનાં વિવિધ સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા.
હોટેલ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા
હોટેલમાલિક લવકેશ બજાજની ધરપકડ બાદ હવે દિલ્હી પોલીસ હોટેલ મેનેજર જય મિશ્રાની શોધમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. જે ફ્લોરિશ સ્ટે- Flourish Stay હોટેલમાં આગ લાગી હતી અને 21 લોકોનાં મોત થયાં હતાં, તે હોટેલ અંગે અનેક મોટા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે હોટેલના માલિકે કથિત રીતે માત્ર ચાની દુકાન (Tatkal Licence) માટે અરજી કરી હતી. હોટેલને B & B (બેડ એન્ડ બ્રેકફાસ્ટ) શ્રેણી હેઠળ માત્ર છ રૂમ ચલાવવાની મંજૂરી મળી હતી. જોકે પોલીસના જણાવ્યા મુજબ માલિક 26 રૂમનું સંચાલન કરી રહ્યો હતો. હોટેલના પ્રથમ માળે રેસ્ટોરાં અને બેઝમેન્ટમાં રસોડું પણ ચલાવવામાં આવતું હતું.
#NewsPunch | A devastating fire at a hotel in Delhi’s Malviya Nagar has left 21 dead and several others injured, triggering urgent rescue operations and a major administrative crackdown. The hotel owner Lovkesh Bajaj has been arrested and booked for culpable homicide amid serious… pic.twitter.com/W2445MiE0W
— DD News (@DDNewslive) June 4, 2026
આફ્રિકી દેશોના અનેક નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો
માલવીય નગરમાં થયેલા આ ભીષણ અગ્નિકાંડમાં અત્યાર સુધી 21 લોકોનાં મોત થયા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. માલવીય નગરની નજીક એક મોટી હોસ્પિટલ આવેલી હોવાથી આફ્રિકી દેશો સહિત વિદેશમાંથી ઘણા લોકો સારવાર માટે અહીં આવતા રહે છે. ઘટના સમયે પણ આફ્રિકી દેશોમાંથી આવેલા અનેક પરિવારો હોટેલમાં રોકાયા હતા, જેમાંથી ઘણા લોકોનાં મોત થયાં હતાં.
આ દુર્ઘટના બાદ દિલ્હી પોલીસ, MCD, પર્યટન વિભાગ અને અન્ય સરકારી એજન્સીઓ વચ્ચે જવાબદારીને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.






