|
માટી કહે કુમ્હાર સૌ, કયા તૂ સૌદે મોહિ, એક દિન એસા હોયેગા, મેં રોંદૂંગી તોહિ. |
જ્યારે જ્યારે કબીરજી માનવીના જીવનની વિડંબનાનું વર્ણન કરે છે, ત્યારે તેમના શબ્દો ધારદાર બનીને સીધી
ચોટ કરે છે. માટીને ગૂંદતા કુંભારને જોઈને કબીરજીએ કેટલો ઊંડો તાત્ત્વિક વિચાર કર્યો છે!
દેહ, જેનું સર્જન પંચમહાભૂતોમાંથી થયું છે અને મરણ બાદ ફરી પંચમહાભૂતોમાં જ વિલીન થવાનો છે, તે નશ્વર છે. દેહાભિમાનનું ઘડીના છઠ્ઠા ભાગમાં નિરસન થઈ જાય તેવો આ ઉપદેશ છે.
જે માટી કુંભારના પગ તળે ચગદાઈ રહી છે, તેની મહત્તા દર્શાવતા કબીરજી માટીના મુખે કુંભારને અને ઉપમા દ્વારા આપણને સમજાવે છે કે, એક દિવસ આ નશ્વર દેહ પણ માટીમાં ભળી જવાનો છે.

માત્ર બે પંક્તિની આ સાખીમાં કબીરજી ઉપદેશ આપતા નથી, પરંતુ એક નિરીક્ષણ રજૂ કરે છે. સામાન્ય લાગતી ઘટનામાંથી અધ્યાત્મની ઊંચાઈ શોધી આપવાની તેમની ક્ષમતા તેમને આગવી કક્ષામાં મૂકે છે.
કબીરજી હંમેશાં શાશ્વત પ્રશ્નોની ગૂઢતાને અત્યંત સરળ શબ્દોમાં આપણી સામે મૂકી દે છે. ત્યારબાદ તેના પર વિચાર કરવાનું કાર્ય આપણું છે. કારણ કે, આચરણ વિનાની વિચારણા નિરર્થક છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)






