વિચારની પાંખે માનવીની સ્પેસ સફર

સન 2001માં એક અમેરિકન યુવાનને વિચાર આવ્યો કે મંગળ ગ્રહ (Mars) પર લીલાછમ છોડ અથવા ગ્રીનહાઉસ (Greenhouse) ઉગાડી શકીએ તો? આ વિચારને અમલમાં મૂકવા એ યુવાન રશિયા (Russia) ગયો, રિયુઝેબલ રૉકેટ (Reusable Rocket) ખરીદવા. પરંતુ કિંમત સાંભળીને તે ઠંડો પડી ગયો. નિરાશ થવાને બદલે, વળતા પ્રવાસ દરમિયાન વિમાન (Plane)માં તેણે લેપટોપ (Laptop) ખોલીને ગણતરી શરૂ કરી કે રૉકેટ બનાવવા માટેનું રૉ-મટીરિયલ (Raw Material) કેટલામાં પડે. તેને સમજાયું કે જો જાતે રૉકેટ બનાવવામાં આવે તો સ્પેસ ટ્રાવેલ (Space Travel)નો ખર્ચ 90 ટકા જેટલો ઓછો કરી શકાય.

એ યુવાન એટલે એલન મસ્ક (Elon Musk). એ રાત્રે વિમાનમાં જન્મેલો એક વિચાર એટલે આજે અબજો ડૉલરની કંપની સ્પેસએક્સ (SpaceX). જે સમયે દુનિયા સ્પેસ ટ્રાવેલ (Space Travel)ને સરકારનું કામ માનતી હતી, ત્યારે યુવા એલનના મગજમાં આવેલા રિયુઝેબલ રૉકેટ (Reusable Rocket)ના વિચારએ આખી દુનિયાનો અવકાશ-ઇતિહાસ બદલી નાખ્યો.

હજારો વર્ષો પહેલાં પથ્થરની ગુફાઓમાં પશુ જેવું જીવન જીવતો માનવી આજે ચંદ્ર (Moon) અને મંગળ (Mars) પર નિવાસસ્થાન તથા ટૂર-ટ્રાવેલ (Tour & Travel)ના આયોજન કરી રહ્યો છે. આજે માનવની વિકાસકૂચ સુવિધાઓનાં સાધનોની હારમાળા સર્જી રહી છે. પરંતુ આ વિકાસ, આ પ્રગતિ શેને આભારી છે?

જો કોઈ કહે કે વિજ્ઞાન (Science)ની હરણફાળ, તો એક રીતે એ સાચો જવાબ છે. પરંતુ વધુ સચોટ જવાબ છે – એક વિચાર (Idea). મગજમાં આવેલો એક આઈડિયા (Idea). પ્રાચીન કાળથી આજ સુધી માનવપ્રગતિનો ઇતિહાસ એ મનુષ્યના મસ્તિષ્કમાં જન્મેલા વિચારોની ગાથા છે, તેમજ એ વિચારોના સર્જનાત્મક અનુસરણ અને પરિણામોની પ્રાપ્તિનો ઇતિહાસ છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr. A.P.J. Abdul Kalam) પોતાની આત્મકથા (Autobiography)માં જણાવે છે કે, “બાળપણથી જ મને આકાશનાં રહસ્યો અને પક્ષીઓના ઉડ્ડયન (Flight) પ્રત્યે ખૂબ આકર્ષણ હતું. ભલે હું સીધોસાદો ગામડાનો છોકરો હતો, પરંતુ મને શ્રદ્ધા હતી કે એક દિવસ હું પણ આકાશમાં ઊડીશ. અને ખરેખર, રામેશ્વરમ (Rameswaram)માંથી આકાશમાં વિચરનાર હું પ્રથમ છોકરો બન્યો.”

એક સામાન્ય સાગરખેડુના બાળકને આકાશની ઊંચાઈએ પહોંચાડવા માટેનું મુખ્ય પરિબળ હતું – વિચાર (Thought). એટલે જ કહેવાયું છે કે જ્યારે વિચારનું વાવેતર થાય છે, ત્યારે તે ક્રિયા (Action)માં પરિણમે છે.

દક્ષિણ આફ્રિકા (South Africa)માં પ્રેક્ટિસ કરતા મોહનદાસ કરમચંદ ગાંધી (Mohandas Karamchand Gandhi) એક વખત ડરબન (Durban)થી પ્રિટોરિયા (Pretoria) જવા માટે રેલવે (Railway)ની ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને પોતાની સીટ પર ગોઠવાયા હતા. રાત્રે નવ વાગ્યે મારિત્સબર્ગ સ્ટેશન (Maritzburg Station) પર એક ગોરો ટિકિટ ચેકર તેમના કમ્પાર્ટમેન્ટમાં આવ્યો. તેણે તેમની ટિકિટ તપાસી અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં તેમને થર્ડ ક્લાસમાં જવા કહ્યું. રકઝક થતાં તેણે પોલીસની મદદથી યુવા બેરિસ્ટર (Barrister)ને કમ્પાર્ટમેન્ટની બહાર ફેંકી દીધા.

તે સમયે તેમના મનમાં વિચાર આવ્યો: “મારે મારા હક માટે લડવું જોઈએ.”

24 વર્ષના આ યુવાન, બિનઅનુભવી બેરિસ્ટરના આ વિચારમાં સ્વરાજ (Swaraj)ની હિલચાલના ભણકારા હતા. તેમના આ વિચારે માત્ર આફ્રિકનોમાં જ નહીં, પરંતુ ભારતની તે વખતની 30 કરોડ જનતામાં પણ આઝાદી (Freedom)ની ભૂખ જગાડી દીધી.

ગાંધીજીના હક માટે લડવાના માત્ર એક વિચારે એવો પ્રચંડ પવન ફૂંક્યો કે 150 વર્ષની અંગ્રેજોની ગુલામી (British Rule)ની ગંઠાઈ ગયેલી સાંકળોને ઓગાળી દીધી. ટ્રેન (Train)ના ડબ્બામાંથી બહાર ફેંકાયેલી વ્યક્તિના પ્રબળ વિચારે આખા સામ્રાજ્ય (Empire)ને બહાર ફેંકી દીધું. આ વિચારની કરામત નહીં તો શું છે?

વિચારની આટલી શક્તિ (Power) અને સામર્થ્ય હોવા છતાં, વિચારવું એ કઠિન કાર્ય છે. વિચારને અઘરું કાર્ય કહેવાનું કારણ એટલું છે કે વિચાર અને વિકાસ (Development) જેમ સાથે ચાલે છે, તેમ વિચાર અને વિનાશ (Destruction) પણ સહચારી છે.

વિચાર યોગ્ય, નિયંત્રિત (Controlled) અને સર્જનાત્મક (Creative) હોય તો ચોક્કસ વિકાસને નોતરે છે. પરંતુ અયોગ્ય, અનિયંત્રિત (Uncontrolled) અને વિધ્વંસાત્મક (Destructive) વિચાર વિનાશ સર્જે છે. કોઈની પ્રગતિમાં દાઝવાથી શરૂ થયેલી વૈચારિક પ્રક્રિયા આતંકવાદ (Terrorism) સુધી પહોંચે છે; તેના મૂળમાં આ અવળો વિચાર જ હોય છે.

તેથી જ વચનામૃત (Vachanamrut)માં ભગવાન સ્વામિનારાયણ (Bhagwan Swaminarayan) કહે છે કે, “અવળા વિચારનો ત્યાગ કરવો અને સવળો વિચાર હોય તે જ ગ્રહણ કરવો.”

વિચાર (Thought) એ માનવીની સૌથી મોટી શક્તિ (Power) છે. એ જ વિચાર માનવીને ગુફાઓમાંથી અવકાશ (Space) સુધી પહોંચાડે છે અને એ જ વિચાર તેને પતનના માર્ગે પણ દોરી શકે છે. તેથી વિચારોનું સંવર્ધન, સંયમ અને શુદ્ધિકરણ એ જ સાચી પ્રગતિનો પાયો છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)