પ્રિયંકા ગાંધીની ધરમપુરમાં જ જનસભા કેમ?

રાજ્યમાં આગામી 7 મેના રોજ મતદાન યોજાશે. તમામ પાર્ટીના કેન્દ્રીય નેતાઓ ગુજરાતની ધરાએ ઉતાર્યા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપની હેટ્રિક થશે કે ભાજપના મૂળ કોંગ્રેસ ઉખાડશે એ જોવાનું રહ્યું.

આજે પ્રિયંકા ગાંધી વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રચાર કરવા ગુજરાત પ્રવાસે પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીએ વલસાડના ધરમપુરમાં જન સભાનું આયોજન કર્યું હતું. જેમાં ભાજપ પર તીખા પ્રહારો સાથે સળગતા પ્રશ્નોનો પણ વરસાદ કર્યો. આ આગાઉ પર વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનંત પટેલ માટે ભારત જોડો યાત્રા છોડી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. તો 2019માં પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જે બાદ તેઓ CWCની મીટિંગમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કર્યો ન હતો. તો તેઓ લાંબા સમય બાદ પ્રચાર માટે નિકળ્યા છે.

પ્રચાર માટે વલાસાડ બેઠક કેમ?

આ અગાઉ પણ વિધાનસભા ચૂંટણીને લઈને રાહુલ ગાંધી ધરમપુર ખાતે પ્રચાર અર્થે પહોંચ્યા હતા. જે બાદ આજે પ્રિયંકા ગાંધી ધરમપુર પહોંચ્યા હતા. વલસાડ લોકસભાની બેઠકની ભૌગોલિક વિવિધતા અંગે વાત કરીએ તો અહીં આદિવાસી વિસ્તાર, કાંઠાવિસ્તાર, ઔદ્યોગિક ક્ષેત્ર, શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. વિસ્તાર પ્રમાણે પ્રશ્નો પણ અલગ-અલગ છે. પારડી, ધરમપુર, કપરાડા, નાના પૌંઢા જેવાં નાનાં શહેરોમાં શિક્ષણ, આરોગ્ય અને જાહેર પરિવહન સંબંધિત મુદ્દાઓ મુખ્ય છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં જંગલ, જમીન, પાર-તાપી લિંક અને રોજગારી મુખ્ય મુદ્દાઓ છે. આ બેઠક પર 18.48 લાખ મતદારો પૈકી 9.60 લાખથી વધુ મતદારો ઢોડિયા, કુકણા અને વારલી સમાજના છે. એમાં સૌથી મોટો સમુદાય ઢોડિયા પટેલ છે, જેના 4 લાખ મતદારો છે. એ બાદ કુકણા સમાજના 3 લાખ જેટલા મતદારો છે. જ્યારે વારલી જાતિના 2,58,980 મતદારો છે. વલસાડ અને ડાંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારે સક્રિય છે અને એનો સીધો જ લાભ ભાજપને મળી શકે છે. ડાંગ અને વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સંઘની સક્રિયાને પગલે અહીં પહોંચવામાં ભાજપને ઘણી સરળતા રહી છે. વાંસદા બેઠકને બાદ કરતાં આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની લગભગ બેઠકોમાં ભાજપનો દબદબો રહ્યો છે. ત્યારે એવુ માનવામાં આવે છે કે ધરમપુરમાં કોંગ્રેસનો દબદબો સારો હોવાથી એજ વિસ્તાકમાં પ્રિયંકા ગાંધીની જન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.