અમદાવાદઃ નર્મદા જિલ્લાના કેવડિયાસ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સ્મારક આગામી દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમાની આજુબાજુનાં સ્થળો પણ મુલાકાતીઓ, પર્યટકો માટે ફરી ખુલ્લા મૂકાશે. આ માટે વહીવટી તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરદાર પટેલના સ્મારકને ૨૪ માર્ચથી કોરોનાને કારણે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે.
કોરોના ગાઈડલાઈન્સનું પાલન
સાત મહિના બાદ ૨૫મી ઓક્ટોબર દશેરાના દિવસથી પ્રવાસીઓ માટે ફરીથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને ખુલ્લું મૂકવામાં આવશે. તંત્રે પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આવનારા પ્રવાસીઓએ કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. અહીં દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ત્યાં જ વ્યુઇંગ ગેલેરીમાં માત્ર 500 લોકોને જ પ્રવેશ અપાશે. દર બે કલાકે માત્ર ઓનલાઇન ટિકિટ જ મળશે. વળી, અહીં ટિકિટ બારી પરથી ટિકિટ નહીં મળે.
વડા પ્રધાન 31 ઓક્ટોબરે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેશે
31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મતિથિ છે અને એ દિવસે વડા પ્રધાન મોદી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે એકતા દિવસની ઉજવણી માટે આવવાના છે, જે માટે તંત્ર દ્વારા વડા પ્રધાન અને પ્રવાસીઓને આવકારવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
