ખરીફ સીઝન માટે ગુજરાત સરકાર દ્વારા ઈન્સ્યોરન્સ એજન્સીની નિયુક્તિ

ગાંધીનગર– કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના(PMFBY) માટે ગુજરાત સરકાર દ્વારા ઈન્સ્યોરન્સ એજન્સીની નિયુક્તિ કરવામાં આવી છે. યોજનાના સરળ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના જિલ્લાઓને ૬ ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યા છે અને આ તમામ ક્લસ્ટર માટે અલાયદી ઈન્સ્યોરન્સ એજન્સીની નિમણુંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ભલામણો અને માર્ગદર્શિકાઓને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા આખરે એજન્સીઓ નક્કી કરવામાં આવી છે. યોજના અન્વયે ક્લસ્ટર-૧(રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ) માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર-૨(અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા) માટે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્સ્યોરન્સની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર-૩(જામનગર, મહીસાગર, દાહોદ, ગીરસોમનાથ, વડોદરા, છોટાઉદેપુર) માટે ભારતી અક્સા જનરલ ઈન્સ્યોરન્સ કંપનીની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર-૪(જુનાગઢ, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા, કચ્છ) માટે એગ્રીકલ્ચર ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયાની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર-૫(મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, આણંદ) માટે યુનિવર્સલ સોંપો જનરલ ઈન્સ્યોરન્સની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ક્લસ્ટર-૬(દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, ખેડા) માટે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડની નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત જિલ્લાવાર અને પાક પ્રમાણે પ્રિમયમના દર તથા સબસીડીનાં દર પણ નક્કી કરવામાં આવ્યા છે. સાથેસાથે સુરત અને બનાસકાંઠા માટે અલગથી સંકલિત પેકેજ વીમા યોજના જાહેર કરવામાં આવી છે.