મતદાન જન જાગૃતિ માટે પ્રભાત ફેરી અને રેલીનું આયોજન

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાશે. રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે યોજાનારા મતદાન અંતર્ગત વધુને વધુ નાગરિકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય અને પોતાની અમૂલ્ય વોટ આપે તે માટે અનેકવિધ મતદાર જાગૃતિ અભિયાન અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય અને સ્વીપ નોડલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાની 520 શાળાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે મતદાન જાગૃતિ રેલી અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી અને પ્રભાત ફેરીમાં 2600થી વધુ કાર્યવાહકો એ ઉત્સાહભેર ભાગ લઈને અંદાજિત 28,000 નાગરિકોને તેમના મતનું મહત્વ સમજાવીને અવશ્ય મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચર્યો સહિત ગ્રામજનો રેલી અને પ્રભાત ફેરીમાં ભાગ લઈને અવશ્ય મતદાન કરવા તૈયારી બતાવી હતી તેમજ અન્ય લોકોને પણ તેમના મતનું મહત્વ સમજાવીને મતદાન કરવા માટે પ્રેરશે એવો સંકલ્પ લીધો હતો.