મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતs થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ આવ્યા હતા. થાઇલેન્ડનું એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ, સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં, ભારતની 7 દિવસની મુલાકાતે છે અને ગુજરાતમાં 5 દિવસનો પ્રવાસ કરવાના છે. પ્રતિનિધિમંડળે અમદાવાદ ખાતે દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ પ્રતિનિધિમંડળમાં થાઇલેન્ડના 7 નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઇલેન્ડ એબોટ વાટ દેબસિરીન્દ્રવાસનો સમાવેશ થાય છે. થાઇલેન્ડના વડા પ્રધાનના સલાહકાર પ્રોફેસર ટોંગથોંગ ચંદ્રાંસુ પણ આ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. જેમણે રામાયણ અને ભગવાન બુદ્ધના જીવન પરની ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તે ગગન મલિક પણ આ પ્રતિનિધિમંડળમાં જોડાયા છે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં થાઈલેન્ડની મુલાકાત દરમિયાન અરવલ્લી જિલ્લામાં દેવની મોરી ખાતે મળેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ પ્રદર્શન માટે મોકલવાની ઘોષણા કરી હતી.

થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારતમાં બુદ્ધિષ્ટ સર્કિટનો વ્યાપ વધારવા તેમના તરફથી સહયોગ કરવાની ખાતરી આપી હતી. આ બુદ્ધિષ્ટ સર્કિટમાં ગુજરાતના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આ સંદર્ભમાં બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુની તા. ૧૬ જૂનથી ૨૨મી જૂન દરમિયાન ભારત પ્રવાસે તેમના પ્રતિનિધિ મંડળ સાથે આવેલા છે. આ પ્રવાસ દરમિયાન તા. ૧૭ થી ૨૧ જૂન સુધી તેઓ વડોદરા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દ્વારિકાની મુલાકાતે જવાના છે.