સરકારે પેટ્રોલ-ડીઝલ પર 10 રૂપિયા ઘટાડી એક્સાઈઝ ડ્યુટી

નવી દિલ્હીઃ મોદી સરકારે મોટો નિર્ણય લેતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 10 રૂપિયા ઘટાડો કર્યો છે. આ નિર્ણય પછી પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટીને પ્રતિ લિટર ત્રણ રૂપિયા રહી ગઈ છે, જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી શૂન્ય થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની પેનિક બાયિંગ જોવા મળ્યું  હતું, એ વચ્ચે સરકારે આ પગલું લીધું છે. સરકારના આ નિર્ણયથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ સીધો ફેરફાર જોવા મળશે નહીં. આ પગલું ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે. સરકાર ઈચ્છે છે કે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતનો દબાણ નિયંત્રિત કરી શકાય.

આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે નાયરા એનર્જીએ ગુરુવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર પાંચ રૂપિયા અને ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ બાદ વૈશ્વિક કાચા તેલના ભાવમાં થયેલા ભારે વધારાનો ભાગ ગ્રાહકો પર મૂકવા માટે કંપનીએ આ વધારો કર્યો હતો.

દેશમાં ફ્યુઅલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધ્યું છે, કારણ કે 28 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ઓઇલના ભાવમાં લગભગ 50 ટકા વધારો થયો હોવા છતાં રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓને રાહત આપવા માટે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી છે.

રાહતની વાત એ છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને BP PLCએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ભારે નુકસાન સહન કરવા છતાં અત્યાર સુધી ભાવમાં વધારો કર્યો નથી. સરકારી માલિકીની ઇંધણ રિટેલર કંપનીઓ, જેઓ બજારમાં લગભગ 90 ટકા હિસ્સો ધરાવે છે, હજુ પણ ભાવ સ્થિર રાખી રહી છે.

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ એક્સાઈઝ ડ્યુટીમાં આ ઘટાડો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે કાચા તેલનો સપ્લાય અસરગ્રસ્ત થયો છે, જેને કારણે તેલ મોંઘું બન્યું છે. મોંઘા કાચા તેલને કારણે દેશની ફ્યુઅલ કંપનીઓ પર દબાણ વધ્યું છે. છતાં, સરકારી ઓઈલ માર્કેટ કંપનીઓએ સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ વધારો કર્યો નથી, જોકે પ્રીમિયમ અને ઔદ્યોગિક કેટેગરીમાં કેટલાક ભાવ વધારવામાં આવ્યા છે.