મુક્તસર સાહિબની ફટાકડા ફેક્ટરીમાં ધડાકોઃ પાંચનાં મોત, 34 ઘાયલ

ચંડીગઢઃ પંજાબના મુકતસર સાહિબ વિસ્તારમાં આવેલા એક ફટાકડા ફેક્ટરીમાં જોરદાર ધડાકો થયો છે. આ ધડાકામાં પાંચ લોકોનાં મોત થયાં છે અને 34 લોકો ઘાયલ થયા છે. આ ધડાકાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રના તમામ ઉચ્ચાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ લોકોને વધુ સારી સારવાર માટે ભઠિંડાના એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર હાલ ઘટનાનાં કારણોની તપાસ કરી રહ્યા છે.વહીવટી તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે કે દોષિતો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.

પંજાબના લમ્બી મતવિસ્તાર નજીક સિંઘેવાલા-ફુતૂહીવાલા ગામનાં ખેતરોમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ગઈ કાલે રાત્રે આશરે જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્રાથિમક માહિતી મુજબ આ વિસ્ફોટમાં 34 શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને પાંચથી વધુનાં મોત થયાં છે. ઈજાગ્રસ્તોને ભઠિંડા એઇમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટને કારણે બે માળની ફેક્ટરીની ઈમારત પળવારમાં ધ્વસ્ત થઈ ગઈ હતી. ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારથી જવાબદાર કોન્ટ્રેક્ટર ફરાર થઈ ગયો છે.

જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો તેનો અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફેક્ટરીના પેકિંગ યુનિટમાં કામ કરનારા પરપ્રાંતીય શ્રમિકોના જણાવ્યા અનુસાર અહીં બે શિફ્ટમાં કામ થાય છે અને લગભગ 40 કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી અમુક તો પરિવાર સાથે જ અહીં રહે છે. મોટા ભાગના કર્મચારીઓ ઉત્તર પ્રદેશમાં અને બિહારના હતા. આ ધડાકા બાદ ઘટનાસ્થળે કૉર્સેર કંપનીના બોક્સમાં તૈયાર ફટાકડા પડ્યા હતા. આ દરમિયાન ઘટનાસ્થળથી હરિયાણાની નંબર પ્લેટવાળો છોટા હાથી (વાહન) પણ મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં SSP અખિલ ચૌધરી, એસપી મનમિત સિંહ, લમ્બીના ડીએસપી જસપાલ સિંહ અને કિલ્લિયાંવાલી પોલીસ સ્ટેશનના પ્રભાર કર્મજિત કૌર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. હાઇડ્રો મશીનથી હાલ કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ ફેક્ટરી સિંઘે વાલા-ફુતુહી વાલાના તરસેમ સિંહ નામના વ્યક્તિની છે, જે એક માન્ય ફેક્ટરી છે. કાટમાળની નીચેથી ત્રણ મૃતદેહ મળ્યા છે. હાલ, યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચાલી રહ્યું છે. તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.