કોઈની ફિલ્મ કે શૂટિંગને અટકાવીશું નહીં: કોંગ્રેસની સ્પષ્ટતા

મુંબઈઃ ‘અમિતાભ બચ્ચન અને અક્ષયકુમારે પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસની કિંમતમાં થયેલા વધારા બદલ મોદી સરકારની ટીકા ન કરતાં એમની ફિલ્મોનું શૂટિંગ થવા નહીં દઈએ અને એમની ફિલ્મોને રિલીઝ થવા નહીં દઈએ’ એવી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ ગઈ કાલે ધમકી આપ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના વડા પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આજે સ્પષ્ટતા કરી છે કે એમનો પક્ષ વાણીસ્વાતંત્ર્યનો આદર કરે છે. સૂરજેવાલાએ જોકે અમિતાભ અને અક્ષયકુમાર વિશે અમુક સવાલો જરૂર ઉઠાવ્યા છે.

સૂરજેવાલાએ કહ્યું કે ચિંતાનો વિષય એ છે કે ઘણી નામાંકિત વ્યક્તિઓ સરકારની તરફેણમાં આ જ રીતે ટ્વીટ કરે છે. હું ખાતરી આપું છું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ બચ્ચન અને અક્ષયની ફિલ્મો કે એના શૂટિંગમાં અવરોધ ઊભો નહીં કરે. મેં નાના પટોલે સાથે વાત કરી છે અને એમણે પણ ખાતરી આપી છે કે એવું કંઈ નહીં થાય (શૂટિંગ કે ફિલ્મની રિલીઝને અટકાવાશે નહીં).