રણબીર-આલિયા આખરે બની ગયાં છે પતિ-પત્ની

મુંબઈઃ અનેક દિવસો સુધી રાહ જોવડાવ્યાં બાદ બોલીવુડનાં યુવા કલાકારો – રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આખરે આજે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, યુગલને હવે સત્તાવાર રીતે પતિ-પત્ની તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. બંનેએ આજે અહીં રણબીરના નિવાસસ્થાન ‘વાસ્તુ’ આયોજિત સમારોહમાં નિકટનાં મિત્રો તથા પરિવારજનોની હાજરીમાં પરંપરાગત પંજાબી વિધિનુસાર લગ્ન કર્યાં છે. લગ્ન સમારંભમાં નીતૂ સિંહ-કપૂર, રિધીમા કપૂર-સાહની, કરીના કપૂર-ખાન, સૈફ અલી ખાન, આદર જૈન, અરમાન જૈન, સોની રાઝદાન, મહેશ ભટ્ટ, પૂજા ભટ્ટ, શાહીન ભટ્ટ, કરણ જોહર, અયાન મુખર્જી તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

રણબીર અને આલિયા વાસ્તવિક જીવનમાં લગભગ પાંચ વર્ષથી એકબીજાનાં ગાઢ સંપર્કમાં રહ્યાં છે. બંને જણ અયાન મુખરજીની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એકબીજાનાં ગાઢ પ્રેમમાં પડ્યાં હતાં. 2018માં એમણે સોનમ કપૂરનાં સત્કાર સમારંભમાં સાથે હાજરી આપી હતી.