બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગુનાખોરી અને મની પાવરની બોલબાલા

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાને લઈને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને બિહાર ઇલેકશન વોચે ઉમેદવારોની પૃષ્ઠભૂમિનું વ્યાપક વિશ્લેષણ જાહેર કર્યું છે. આ રિપોર્ટ 121 વિધાનસભા વિસ્તારોના 1314માંથી 1303 ઉમેદવારોના શપથપત્રો પર આધારિત છે. રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે બિહારના રાજકારણમાં ગુનાખોરી અને મની પાવર ઊંડે સુધી પ્રસ્થાપિત છે.

ADRના અહેવાલમાં જણાવ્યા મુજબ પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા 1303 ઉમેદવારોમાંથી 423 (32 ટકા) ઉમેદવારોએ ગુનાખોરીના કેસ જાહેર કર્યા છે. જેમાંથી 354 ઉમેદવારો (27 ટકા) ગંભીર ગુનાખોરીના કેસોમાં આરોપી છે. રિપોર્ટ જણાવે છે કે 33 ઉમેદવારો હત્યાના કેસોમાં, 86 હત્યાના પ્રયાસના કેસોમાં અને 42 ઉમેદવારો મહિલાઓ સામેના ગુનાઓ સંબંધિત કેસોમાં સામેલ છે. જ્યારે બે ઉમેદવારોએ પોતાના પર બળાત્કારના કેસો જાહેર કર્યા છે.

ગંભીર ગુનાખોરી ધરાવતા ઉમેદવારોમાં લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષો સામેલ છે, જેમાં

  • જન સુરાજ પાર્ટીના 114માંથી 49 (43 ટકા)
  • બહુજન સમાજ પાર્ટી (BSP)ના 89માંથી 16 (18 ટકા)
  • RJDના 70માંથી 42 (60 ટકા)
  • JDUના 57માંથી 15 (26 ટકા)
  • ભાજપ (BJP)ના 48માંથી 27 (56 ટકા)
  • AAPના 44માંથી 9 (20 ટકા)
  • કોંગ્રેસ (INC)ના 23માંથી 12 (52%)
  • CPI(ML)ના 14માંથી 9 (64%)
  • LJP (રામવિલાસ)ના 13માંથી 5 (38 ટકા)
  • CPIના 5માંથી 4 (80 ટકા)
  • CPI(M)ના તમામ ત્રણ (100 ટકા) ઉમેદવારો પર ગંભીર કેસો નોંધાયેલા છે.

ગુનાખોરી છબી ધરાવતા ઉમેદવારો પર પક્ષવાર વિશ્લેષણ:

પક્ષવાર કુલ ગુનાખોરી કેસોમાં પણ સ્થિતિ ચિંતાજનક છે.

  • RJDના 70માંથી 53 (76 ટકા)
  • BJPના 48માંથી 31 (65 ટકા)
  • INCના 23માંથી 15 (65 ટકા)
  • CPI(ML)ના 14માંથી 13 (93 ટકા)
  • CPI અને CPI(M)ના તમામ ઉમેદવારોએ તેમના ઉપરના ગુનાખોરીના કેસ જાહેર કર્યા છે.

જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) અને JDUના 57માંથી 22 (39 ટકા) ઉમેદવારોએ પણ કેસો જાહેર કર્યા છે.

આ આંકડા દર્શાવે છે કે બિહારના રાજકારણમાં ગુનાખોરીનો પ્રભાવ લગભગ દરેક પક્ષમાં સમાન રીતે જોવા મળે છે. ADRના જણાવ્યા મુજબ રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાઓની અવગણના કરી છે.