કેરળના લગભગ 70 ટકા વિધાનસભ્યો સામે ફોજદારી કેસઃ ADR

નવી દિલ્હીઃ કેરળના હાલના લગભગ 70 ટકા વિધાનસભ્યોએ પોતાના વિરુદ્ધ ફોજદારી કેસ પેન્ડિંગ હોવાની માહિતી આપી છે અને અડધાથી વધુ વિધાનસભ્યો કરોડપતિ છે, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ADR અને ‘કેરળ ઇલેકશન વોચ’ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં 132 વર્તમાન વિધાનસભ્યોના સોગંદનામાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું કે 92 વિધાનસભ્યો સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે.

આમાંથી 33 વિધાનસભ્યો (અંદાજે 25 ટકા)એ ગંભીર ફોજદારી કેસ નોંધાયેલા હોવાની માહિતી આપી છે. આ કેસોમાં હત્યા અને હત્યાના પ્રયાસ જેવા આરોપો સામેલ છે. રિપોર્ટ મુજબ બે વિધાનસભ્યો સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 હેઠળ હત્યાના કેસ પેન્ડિંગ છે, જ્યારે ત્રણ વિધાનસભ્યો સામે કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસના આરોપ છે. આ ઉપરાંત, ત્રણ વિધાનસભ્યો સામે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સંબંધિત કેસ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એક બળાત્કારનો કેસ પણ સામેલ છે.

આંકડા મુજબ  CPI(M)ના 58માંથી 43 વિધાનસભ્યો (74 ટકા) સામે ફોજદારી કેસ છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 21માંથી 19 વિધાનસભ્યો (90 ટકા)એ પોતાના વિરુદ્ધ આવા કેસ પેન્ડિંગ હોવાની માહિતી આપી છે. અન્ય પક્ષોમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના 44 ટકા અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના 86 ટકા વિધાનસભ્યોએ પણ આવા કેસ જાહેર કર્યા છે.

આર્થિક સ્થિતિ અંગે 72 વિધાનસભ્યો (55 ટકા)એ એક કરોડ રૂપિયા કરતાં વધુ સંપત્તિ જાહેર કરી છે. તમામ 132 વિધાનસભ્યોની કુલ સંપત્તિ 363.78 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે પ્રતિ વિધાનસભ્ય સરેરાશ સંપત્તિ 2.75 કરોડ રૂપિયા છે.