બંગાળમાં ગઢ તૂટ્યા બાદ દીદીને યાદ આવ્યું INDIA ગઠબંધન

પશ્ચિમ બંગાળના તાજેતરના રાજકીય પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સામે કારમો પરાજય વેઠ્યા બાદ તૃણમૂલ કૉંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીનો કિલ્લો ધ્વસ્ત થઈ ચૂક્યો છે. બંગાળમાં 15 વર્ષ લાંબી એકહથ્થુ સત્તા ગુમાવ્યા પછી માત્ર મમતા બેનર્જીની રાજકીય પ્રતિષ્ઠાને જ મોટો ધક્કો નથી લાગ્યો, પરંતુ તેમની પાર્ટી TMC માં પણ અંદરોઅંદર નાસભાગ અને ભારે અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોતાના ઘર આંગણે જ પક્ષને વિખરાતો જોઈને હવે ‘દીદી’ ને ફરી એકવાર વિપક્ષી એકતા એટલે કે INDIA ગઠબંધનની યાદ સતાવી રહી છે. પોતાની રાજકીય સાખ બચાવવા માટે મમતા બેનર્જી હવે ફરીથી રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધનનો સહારો લેતા નજરે પડી રહ્યા છે.

દીદી રવિવારે દિલ્હી પહોંચશે, ભત્રીજો અભિષેક પહેલેથી જ હાજર

નવી દિલ્હીમાં આગામી 8 જૂને વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનની એક મહા-બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ટીએમસી ચીફ મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી હાજર રહેવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતા બેનર્જી રવિવારે જ દિલ્હી પહોંચી જશે અને તેઓ મંગળવાર સુધી રાજધાનીમાં રોકાણ કરે તેવી શક્યતા છે, જ્યારે પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પહેલેથી જ દિલ્હી પહોંચી ચૂક્યા છે. મમતા બેનર્જીની આ દિલ્હી યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે તેઓ બંગાળમાં હાર બાદ પોતાની પાર્ટીને બેઠી કરવા માટે નવી રિકવરી સ્ટ્રેટેજી તૈયાર કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ બેઠક દ્વારા મમતા માત્ર રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની હાજરી નોંધાવવા નથી માંગતા, પરંતુ પોતાની પાર્ટીની અંદર પણ પોતાની પકડ મજબૂત કરવા ઈચ્છે છે.

કૉંગ્રેસ સાથે સંબંધો સુધારવાની કવાયત: સોનિયા ગાંધીને મળી શકે છે મમતા

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ના અહેવાલમાં ટીએમસીના એક વરિષ્ઠ નેતાના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે આ દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે વ્યક્તિગત મુલાકાત કરવાની તકો શોધી રહ્યા છે. જો કે, કૉંગ્રેસ કે ગાંધી પરિવાર તરફથી હજુ સુધી આ મુલાકાતને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ટીએમસી અને કૉંગ્રેસ વચ્ચેના સંબંધો ખૂબ જ વણસેલા રહ્યા છે. ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ અને પદની વહેંચણીને લઈને બંને પક્ષો વચ્ચે ભારે મતભેદો સર્જાયા હતા અને મમતાએ કૉંગ્રેસને સાઈડલાઈન કરીને એકલા હાથે ચાલવાનો નિર્ણય કર્યો હતો, જે હવે તેમને ભારે પડી રહ્યો છે.

કૉંગ્રેસે યાદ અપાવ્યા જૂના દિવસો: “ખરાબ સમયમાં સાથ નહીં છોડીએ, પણ…”

મમતા બેનર્જીની બદલાયેલી રાજકીય સ્થિતિ પર બંગાળના કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સતત ચૂંટણી જીતી રહ્યા હતા, ત્યારે તે કૉંગ્રેસ વિશે મનમાં આવે તેવું બોલતા હતા. તેમણે રાહુલ ગાંધીની ક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા અને કૉંગ્રેસ પાસેથી ગઠબંધનનું નેતૃત્વ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. હવે જ્યારે તેમનો ખરાબ સમય આવ્યો છે, ત્યારે કૉંગ્રેસ ચોક્કસપણે એક જવાબદાર પક્ષ તરીકે તેમનો સાથ નહીં છોડે, પરંતુ હવે અમે તેમની સાથે પહેલા જેવા નજીકના અને પાકા મિત્રોની જેમ વર્તી શકીશું નહીં.

અભિષેકની આલોચના રોકવા માટે સંગઠનમાં મોટો ફેરફાર

બંગાળમાં હાર બાદ પક્ષની અંદર ઉઠેલા વિરોધના સૂરને દબાવવા માટે મમતા બેનર્જીએ સંગઠન સ્તરે કેટલાક મોટા ફેરફારો કર્યા છે. આ નવા બદલાવ અંતર્ગત અભિષેક બેનર્જી પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ પદ પર યથાવત રહેશે. પરંતુ, તેમની મદદ માટે અને નિર્ણય લેવાની પ્રક્રિયાનું દાયરું વધારવા માટે બે નવા સંયુક્ત રાષ્ટ્રીય મહાસચિવની નિમણૂક કરવામાં આવી છે, જેમાં રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયન અને ડોના સેનનો સમાવેશ થાય છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અભિષેક બેનર્જીના નિર્ણયોને લઈને પક્ષમાં વધી રહેલી ટીકાઓ અને એકહથ્થુ સત્તાના આરોપોને સંતુલિત કરવા માટે જ દીદીએ આ મોટું કદમ ઉઠાવ્યું છે.