નવી દિલ્હીઃ આ વર્ષે ઘણાં રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જેમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરી સામેલ છે. કોંગ્રેસને કેરળમાં સારું પ્રદર્શન કરવાની આશા છે. તામિલનાડુ અને પુડુચેરીમાં ડીએમકે સાથે ગઠબંધન હોવાથી પાર્ટીને લાગે છે કે જીતની શક્યતા મજબૂત છે. આસામમાં યુવા નેતા ગૌરવ ગોગોઇને જવાબદારી સોંપવામાં આવી છે જેથી કંઈક ચોંકાવનારાં પરિણામ મળી શકે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ આ વખતે “એકલા ચાલો”ની નીતિ અપનાવી રહી છે, જ્યાં મમતા બેનર્જી સામે ભાજપ મુખ્ય પ્રતિસ્પર્ધી છે.
આસામ: ભૂપેન બોરાનું રાજીનામું અને સમાધાનનો પ્રયાસકોંગ્રેસમાં સૌથી નવું આંતરિક કલહ આસામમાં જોવા મળી રહી છે, જ્યાં પૂર્વ પ્રદેશાધ્યક્ષ ભૂપેન બોરાએ રાજીનામું આપી દીધું છે. ભૂપેન બોરા છેલ્લાં 30 વર્ષથી કોંગ્રેસમાં છે અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આસામમાં બોરા અને રકિબુલ હુસૈન વચ્ચે મતભેદ હોવાને કારણે તેમણે રાજીનામું આપ્યું. બાદમાં ગૌરવ ગોગોઇ, કોંગ્રેસ પ્રભારી જિતેન્દ્ર સિંહ અને રાહુલ ગાંધીના ફોન બાદ તેઓ હાલ માટે માન્યા છે. છતાં ભુપેન બોરા કોંગ્રેસમાં રહેશે કે નહીં તે સમય જ બતાવશે, કારણ કે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ તેમના માટે ભાજપના દરવાજા ખુલ્લા રાખ્યા હોવાનું કહેવાય છે.
તામિલનાડુ: ડીએમકે પર દબાણની નિવેદનબાજીથી નારાજગી
તામિલનાડુમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ છેલ્લા કેટલાક દિવસોથી ડીએમકે પર દબાણ બનાવવા માટે સત્તામાં ભાગીદારી વિશે નિવેદનો આપી રહ્યા છે. જેને કારણે ડીએમકે નેતૃત્વ નારાજ હોવાનું કહેવાય છે. ડીએમકેના એક નેતાએ કહ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસ મણિકમ ટાગોર અને પ્રવીણ ચક્રવર્તી સામે કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી તેઓ કોંગ્રેસ સાથે વાતચીત નહીં કરે. અંતિમ નિર્ણય સ્ટાલિન, મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી લેશે.
કેરળ: બધું ઠીક, પરંતુ સીએમ રેસ ચાલુ
કેરળમાં હાલ પરિસ્થિતિ સ્થિર કહેવાય છે. શશિ થરુરને પણ મનાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે, છતાં મુખ્ય મંત્રી પદ માટે ઘણા દાવેદારો છે. તાજેતરમાં શશિ થરુરને કેમ્પેન કમિટીના સહ-અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે અધ્યક્ષ રમેશ ચેન્નિથલા છે. કહેવામાં આવે છે કે આ નિમણૂંક બાદ શશિ થરુર પણ મુખ્ય મંત્રી પદની રેસમાં સામેલ થયા છે. કુલ મળીને મુખ્ય મંત્રી પદ અંગે ગૂંચવણને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આલાકમાને કહ્યું છે કે પાર્ટી સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે અને મુખ્ય મંત્રીનો નિર્ણય પછી લેવામાં આવશે.

