નવી દિલ્હીઃ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફના નિવેદન પર તીવ્ર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ઇઝરાયલને “માનવજાત માટે અભિશાપ” અથવા “કેન્સર જેવો દેશ” કહેવું સંપૂર્ણપણે ખોટું અને અપમાનજનક છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ દેશે ઇઝરાયલને ખતમ કરવાની વાત ન કરવી જોઈએ, ખાસ કરીને ત્યારે જ્યારે એ દેશ પોતાને શાંતિ વાટાઘાટોમાં નિષ્પક્ષ બતાવે છે.
હકીકતમાં, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ગુરુવારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ સામે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે લખ્યું હતું કે ઇઝરાયલ એક બૂરાઈ છે અને માનવજાત માટે અભિશાપ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે જ્યારે ઇસ્લામાબાદમાં શાંતિ વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે લેબેનોનમાં હત્યાકાંડ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે પહેલા ગાઝા, પછી ઇરાન અને હવે લેબેનોન – ઇઝરાયલ સતત નિર્દોષ લોકોનું લોહી વહાવી રહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે પેલેસ્ટિનિયન જમીન પર યુરોપિયન યહૂદીઓને વસાવવા માટે બનાવાયેલા આ “કેન્સર જેવા દેશ”ને બનાવનારા લોકોને સજા થવી જોઈએ.
આ ઘટનાક્રમ પછી ઇતિહાસમાં પહેલી વાર ઇઝરાયલે પાકિસ્તાનને “આતંકવાદી દેશ” તરીકે ગણાવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયલે પાકિસ્તાનને ચેતવણી આપી કે આવાં નિવેદનો સહન નહીં કરવામાં આવે. ઇઝરાયલના વિદેશ મંત્રાલય તરફથી પણ પાકિસ્તાનની ટીકા કરવામાં આવી છે.
The Prime Minister’s Office:
Pakistan Defence Minister’s call for Israel’s annihilation is outrageous. This is not a statement that can be tolerated from any government, especially not from one that claims to be a neutral arbiter for peace.
— Prime Minister of Israel (@IsraeliPM) April 9, 2026
ઇઝરાયલના વિદેશ મંત્રીએ ગિડેન સારે પણ પાકિસ્તાનના નિવેદનની કડક નિંદા કરી. તેમણે કહ્યું હતું કે યહૂદી રાષ્ટ્રને “કેન્સરગ્રસ્ત” કહેવું એ તેના વિનાશની માગ જેવું છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે ઇઝરાયલ આવા સ્પષ્ટ યહૂદીવિરોધી આક્ષેપોને ગંભીરતાથી લે છે, ખાસ કરીને જ્યારે તેવાં નિવેદનો એ સરકાર તરફથી આવે છે જે પોતાને શાંતિના મધ્યસ્થ તરીકે રજૂ કરે છે. તેમણે ઉમેર્યું કે ઇઝરાયલ પોતાના વિનાશની વાત કરનારાઓ સામે પોતાનો બચાવ કરશે.
જોકે આકરી ટીકા પછી પાકિસ્તાનના સંરક્ષણપ્રધાને તેમની પોસ્ટ ડિલિટ કરી હતી.

