બાબરી બનાવનારાઓ સાથે ભાજપ ક્યારેય ગઠબંધન નહીં કરે: શાહ

કોલકાતાઃ ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં ભાજપનું સંકલ્પપત્ર જાહેર કર્યું હતું. ભાજપે પોતાના સંકલ્પપત્રમાં યુવાઓ, મહિલાઓ અને સરકારી કર્મચારીઓ માટે અનેક મોટાં વચનો આપ્યાં છે.

બાબરી બનાવનારાઓ સાથે ગઠબંધન નહીં –  શાહ

હુમાયુ કબીર અંગે પુછાયેલા પ્રશ્ન પર અમિત શાહે કહ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવનારી કોઈ વ્યક્તિ સાથે ગઠબંધન કરવા કરતાં વિરોધ પક્ષમાં બેસવું પસંદ કરશે. TMCએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે મમતા બેનર્જીની સરકારને પાડવા માટે હુમાયુ કબીરને પૈસા આપ્યા. તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે મમતાજી 2000 વિડિયો બનાવી શકે છે. હુમાયુ કબીર અને ભાજપ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ જેવી રીતે એકબીજાથી અલગ છે. અમે ક્યારેય એક થઈ શકતા નથી. ભાજપ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવનારાઓ સાથે ક્યારેય ગઠબંધન નહીં કરે. અમે 20 વર્ષ સુધી પણ વિરોધમાં બેસવા તૈયાર છીએ.

હુમાયુ કબીર વિવાદ શું છે?

પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા એક કથિત સ્ટિંગ વિડિયો સામે આવતાં હુમાયુ કબીરને લઈને વિવાદ શરૂ થયો. TMCના નેતાઓ દ્વારા શેર કરાયેલા વિડિયોમાં કબીર કથિત રીતે મોટી નાણાકીય ડીલની ચર્ચા કરતા અને ભાજપ સાથે સંબંધ હોવાનો દાવો કરતા જોવા મળે છે. આ વિડિયોમાં તેઓ અલ્પસંખ્યક મતદાન પેટર્નને અસર કરવા માટેની વ્યૂહરચના વિશે પણ વાત કરતા હોવાનું કહેવાય છે. તેમ જ આ વિડિયોમાં તેઓ કહેતા હોવાનું જણાય છે કે યોજના અમલમાં મૂકવા માટે 1000 કરોડ રૂપિયાની ડીલમાંથી 200 કરોડ રૂપિયા એડવાન્સ તરીકે મળ્યા છે.

હુમાયુ કબીરનું શું કહેવું છે?

AIMIMએ હુમાયુ કબીરની પાર્ટી સાથેનું ગઠબંધન તોડી દીધું છે. જોકે હુમાયુ કબીરે વિડિયોને ખોટો અને AI દ્વારા બનાવેલો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમની છેલ્લી મુલાકાત નરેન્દ્ર મોદી, અમિત શાહ અને હિમંત બિશ્વા સરમા સાથે 2019માં થઈ હતી, ત્યાર પછી કોઈ સંપર્ક નથી. તેમણે TMCને પડકાર આપ્યો હતો કે 2019 પછી ભાજપના કોઈ નેતા સાથેનો ફોટો અથવા વિડિયો હોય તો જાહેર કરે.