સ્પાયવેર એટેક થયો છે; એપ અપગ્રેડ કરી લેજોઃ યુઝર્સને વોટ્સએપની સલાહ

મુંબઈ – વોટ્સએપ યુઝર્સ સાવધાન થઈ જજો. ફેસબુકની માલિકીની મેસેજિંગ સેવા વોટ્સએપે તેના ગ્રાહકોને આજે એવી વિનંતી કરી છે કે તેઓ એપનું લેટેસ્ટ વર્ઝન અપગ્રેડ કરે, કારણ કે એક નઠારા સ્પાયવેરનો એટેક થયો છે.

દુનિયાભરમાં વોટ્સએપનાં કરોડો યુઝર્સ છે.

આ એટેક થયાની જાણકારી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સંસ્થાએ આપી હતી.

આ સ્પાયવેર હુમલાનો ટાર્ગેટ પત્રકારો, ધારાશાસ્ત્રીઓ અને માનવ અધિકારોનાં રક્ષકોને બનાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.

જેનો તાગ મેળવી ન શકાય એવા મિસ્ડ વોટ્સએપ કોલ્સ મારફત યુઝરના ફોન હેક કરવામાં આવી રહ્યા હતા. આ સ્પાયરવેર એટેક દ્વારા માત્ર એક જ વોટ્સએપ કોલ કરીને યુઝર્સના ફોનના કેમેરા અને માઈકને હેક કરવામાં આવ્યા હતા.

આ હુમલા દ્વારા હેકર્સ વોટ્સએપ યુઝરના ઈમેલથી લઈને લોકેશન ડેટાની જાણકારી મેળવી લેતા હતા. વોટ્સએપે જોકે આ સમસ્યાને દૂર કરી દીધી છે અને યુઝર્સને વિનંતી કરી છે કે તેઓ પોતપોતાનાં વોટ્સએપને અપગ્રેડ કરી લે. વોટ્સએપ અપગ્રેડ કરવાથી જ આ સમસ્યા દૂર થશે.

એક એવો બગ (વાયરસ) હતો જે વોટ્સએપના ઓડિયો કોલ ફીચરમાં ઘૂસી આવ્યો હતો. વોટ્સએપનું કહેવું છે કે આ એટેક થયાની ખબર પડતાં જ એણે એને ફિક્સ કરી દીધો છે. તેથી યુઝર્સે તાત્કાલિક પોતપોતાની એપ અપડેટ કરી દેવી.