નીરવ મોદીની બહેને ભારત સરકારને રૂ.17.25-કરોડ ચૂકવ્યા

નવી દિલ્હીઃ હીરાના ભાગેડૂ વેપારી નીરવ મોદીની બહેન પૂર્વી મહેતા, જે પંજાબ એન્ડ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં તાજની સાક્ષી બન્યાં છે, એમણે એમનાં બ્રિટનમાંના બેન્ક એકાઉન્ટમાંથી ભારત સરકારને રૂ. 17.25 કરોડની રકમ ટ્રાન્સફર કરી દીધી છે. પીટીઆઈ સમાચાર સંસ્થાએ કેન્દ્ર સરકારી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટને ટાંકીને પોતાના અહેવાલમાં જણાવ્યું છે.

ગઈ 4 જાન્યુઆરીએ, પૂર્વી અને એમનાં પતિ મયંક મહેતાને પીએનબી કેસમાં માફી મંજૂર કરાઈ હતી. શરતો અનુસાર, પૂર્વી મહેતાએ આ કેસ સંબંધિત એમની પાસેની સંપૂર્ણ અને સાચી માહિતી જણાવવાની રહેશે. અંદાજે બે અબજ ડોલરની રકમને સંડોવતા પીએનબી કૌભાંડ કેસમાં નીરવ મોદી સામે છેતરપીંડી અને મની લોન્ડરિંગના આરોપ છે. 50 વર્ષીય જ્વેલર નીરવ મોદી હાલ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં છે. એ 2018માં ભારતમાંથી ભાગી ગયા હતા. ગયા એપ્રિલમાં બ્રિટનના ગૃહ મંત્રાલયે નીરવનું ભારતને પ્રત્યાર્પણ કરવાને મંજૂરી આપી હતી. નીરવે એ ચુકાદા સામે અપીલ કરી છે અને આવતી 21 જુલાઈએ એની સુનાવણી છે.