પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, સોમનાથમાં શિવભક્તોનું મહેરામણ ઉમટ્યું!

ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. મંદિરમાં ભક્તિનો અનન્ય માહોલ જોવા મળ્યો. વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. શ્રાવણ મહિનામાં દેવાધિદેવના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે દુર-દુરથી શિવભક્તો સોમનાથ ખાતે ઉમટી પડ્યા છે. સમગ્ર ધામ ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ અત્યંત શિવમય અને પવિત્ર બની ગયું હતું.

ભક્તો માટે ટ્રસ્ટની સુંદર વ્યવસ્થા 

સોમનાથ મંદિરે શ્રાવણી સોમવાર નિમિત્તે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થીઓને સરળતાથી અને ઝડપથી દર્શન થઈ શકે તે માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ભક્તો માટે પીવાના પાણી, છાંયડા તથા ઈમરજન્સી મેડિકલ સેવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિરની સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવીને ભીડનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈપણ દર્શનાર્થીને અગવડતાનો સામનો ન કરવો પડે.

શાંતિપૂર્ણ માહોલમાં દર્શન 

શિવભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન તથા જળાભિષેકનો લાભ લીધો હતો. ભાવિકોએ લાઈનમાં શિસ્તબદ્ધ ઉભા રહીને મહાદેવના પૂજન-અર્ચન કર્યા હતા. સોમનાથ મહાદેવનું વિશેષ શૃંગાર દર્શન અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ લઈ તમામ શ્રદ્ધાળુઓએ કૃતાર્થતા અનુભવી હતી. આમ, શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ ધામ ખાતે ભક્તિ, શ્રદ્ધા અને સુવ્યવસ્થાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.