જે.પી. નડ્ડા શનિવારે રાજકોટમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવશે

રાજકોટ: આઝાદીના અમૃત મહોત્સવના અનુસંધાને સ્થાનિક વહીવટી તંત્રની સાથે રહીને ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું વિવિધ શહેરોમાં આયોજન કરાયું છે. શનિવારે સવારે 9 કલાકે રાજકોટમાં તિરંગા યાત્રાને કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પ્રસ્થાન કરાવશે. આ યાત્રા રાજકોટના વિવિધ માર્ગો ઉપર ફરીને જયુબેલી બાગ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પૂરી થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજકોટમાં આ યાત્રામાં જોડાશે.પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડૉ. ભરત બોઘરએ યાત્રાના આયોજન અંગે શુક્રવારે રાજકોટમાં પત્રકારોને જણાવ્યું હતું કે , શહીદોને સલામી આપવા તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ આ યાત્રામાં હાજર રહેશે. આ ઉપરાંત રાજકોટની તમામ શાળાઓ, કોલેજ અને સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાશે. બહુમાળી ભવન ખાતે સવારે 9 વાગ્યે યાત્રાના પ્રસ્થાનનો કાર્યક્રમ યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્યો, આગેવાનો અને રાજકોટના 1 લાખથી વધુ લોકો યાત્રામાં જોડાશે.ડૉ. ભરત બોઘરએ જણાવ્યું હતું કે, આ તિરંગા યાત્રા એ રાજકીય નથી. કોઈ પણ વ્યક્તિ કે પક્ષના કાર્યકરો તેમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ જે ન્યાય યાત્રા કાઢી રહી છે એ રાજકીય છે. તેમનો એજન્ડા ન્યાય યાત્રા પાછળનો રાજકીય છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતના સામાન્ય લોકો ઉપર ખૂબ અત્યાચાર થયા છે. કોંગ્રેસ તેનો ઇતિહાસ ચકાશી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટના મેયર, શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જે. પી. નડ્ડા પહેલી વખત રાજકોટ આવી રહ્યા છે.

દેવેન્દ્ર જાની – રાજકોટ 
તસવીર – નિશુ કાચા